ઝી ન્યૂઝ/ બ્યૂરો: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જાણે ચોમાસાની હવે કોઈ સીઝન જ રહી ના હોય તેમ કમોસમી વરસાદ થતો રહે છે. જેની સીધી અસર માનવ જીવન પર થાય છે. કડકડતી ઠંડીના દિવસો આવી ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી (weather update) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં આગામી દિવસમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ (rain) આવી શકે છે.
વેરાવળ બંદર પર 1 નંબરનું ભયસુચક સિગ્નલ
હવામાન વિભાગની આગાહીના પગલે વેરાવળ બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને તોફાની દરિયાની આગાહી કરતા આ સિગ્નલને પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે તાકીદ કરી છે. પોર્ટ વિભાગ દ્વારા માછીમારોને ખરાબ હવામાનની અગાહીના પગલે દરિયો ન ખેડવા જણાવ્યું છે.
જામનગરના નવા બંદર પર 1 નંબરનું સિગ્નલ
જામનગરના નવા બંદર ઉપર પણ હવામાન વિભાગની આગાહીના પગલે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. જેના કારણે આગામી 5 દિવસ દરિયામાં માછીમારોને સતર્ક રહેવા હવામાન વિભાગે સુચના આપી છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગની કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબ સાગરમાં ફરી ડિપ્રેશન ઉભું થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ
પોરબંદર બંદર ઉપર પણ હવામાન વિભાગની આગાહીના પગલે 01 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અહીં સાવચેતીના ભાગરૂપે બંદર પર સિગ્નલ લગાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
માવઠાથી બીમારીઓ વધશે, ખેડૂતો પર સંકટ
ગુજરાતીઓની નવા વર્ષની શરૂઆત માવઠા સાથે થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે દસ્તક દીધી છે. એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓ ઘરે ઘરે ફેલાઈ રહી છે, આવામાં માવઠુ વધુ બીમારીઓને નોતરશે. તો સૌથી મોટુ સંકટ ખેડૂતોના માથા પર છે. ખેડૂતોનો રવિ પાક માવઠાને કારણે નષ્ટ થઈ શકે છે. નવા વર્ષે ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે