સુરત :હાલ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં ઉથલપાથલની ચર્ચા છે. સુરતમાં પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોને રાતોરાત પ્લેન દ્વારા ગુવાહાટી મોકલવામા આવ્યા હતા. તેમના માટે ખાસ વિમાન મંગાવવામાં આવ્યું હતું, જે તેઓને લઈને સુરત એરપોર્ટથી રવાના થયુ હતું અને ગણતરીના કલાકોમાં આ તમામ ધારાસભ્યોને ગુવાહાટી પહોંચાડવામા આવ્યા હતા.
મોડી રાતે સુરતથી શિવસેના અને અન્ય ધારાસભ્યોને લઈને નીકળેલું ખાસ વિમાન થોડાક સમયમાં જ ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યુ હતું. રાત્રે 3:41 કલાકે સુરત એરપોર્ટથી વિમાન રવાના થયું હતું અને ગુવાહાટી પહોંચી ગયું હતું. મોડી રાતે એકનાથ શિંદે સહિત તમામ ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે, આ સમયે એકનાથ શિંદેએ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનુ ટાળ્યુ હતું. એક બાદ એક તમામ ધારાસભ્યો હોટલમાંથી બહાર નીકળ્યા હતા અને કારમાં બેસીને રવાના થયા હતા. ખાસ વાત તો એ છે કે, તમામ ધારાસભ્યોએ પોતાના મોંઢા છુપાવ્યા હતા. કેટલાક મોઢા પર રૂમાલ તો કેટલાક માસ્ક લગાવીને છુપાઇને હોટલની બહાર ચૂપચાપ નીકળ્યા હતા અને કારમાં બેસી ગયા હતા.
આ પણ વાંચો : શિવસેના ધારાસભ્યોને ઢોર માર મરાયો, ઘેનના ઇન્જેક્શન અપાયા, ઇટાલિયાનો દાવો
સુરત એરપોર્ટથી ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ધારાસભ્યો સહિતની 63 લોકોની ટીમ ગુવાહાટી પહોંચી હતી. સુરતની લા મેરેડિયન હોટેલમાં રોકાયેલા શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ કહ્યું હતુ કે, મારી સાથે 40 ધારાસભ્યો છે, કોઈ કોઈ બળવો નથી કર્યો.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વિશે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર વાર કરતા કહ્યુ કે, ભાજપ મહારાષ્ટ્રમાં ચાલતી સ્થિર સરકારને અસ્થિર કરવાનું કામ કરી રહી છે. મહારાષ્ટ્રના ધારાસભ્યેને કેદ કરી સુરત મોકલ્યા હતા. દેશની લોકશાહીને ખતમ કરીને શુ બનાવવા માંગે છે. પ્રજાના મતે ચુંટાયેલા ધારાસભ્ય અને સરકારને ઉઠાવી જઇ કિડનેપ કરવાની કંઇ લોકશાહી છે તે સવાલ લોકો પુછી રહ્યાં છે. ભાજપના આ કૃત્યનો જવાબ સમય આવે દેશની જનતા આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે