અતુલ તિવારી/ચેતન પટેલ/અમદાવાદ :ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરાયું હતું. જેમાં 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.
ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...
ક્યાં કેટલુ પરિણામ
વિદ્યાર્થીની બ્રિન્દા શાહ માતાપિતા સાથે
ટ્યુશન વગર અમદાવાદની બે વિદ્યાર્થીનીઓ મેળવ્યા 99 પર્સન્ટાઈલ
અમદાવાદના કામેશ્વર વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી બ્રિન્દા શાહે 99.11 પર્સન્ટાઈલ મેળવ્યા છે. પિતા ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતા હોવાથી તે અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે. એટલું જ નહિ, આ રિઝલ્ટ તેણે કોઈ પણ ટ્યુશન ક્લાસિસ વગર મેળવ્યું છે. ત્યારે તેની સફળતા જોઈ તેના માતા-પિતા પણ ખુશ થઈ ગયા હતા. બ્રિન્દા વિશે રસપ્રદ વાત તો એ છે કે, અગાઉ વિદ્યાર્થીની દીક્ષા લેવા માગતી હતી. પરંતુ તેને સમજાવ્યા બાદ અભ્યાસ કરી અને સફળ થઈ હતી અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થીની નિશા ગોસ્વામી
તો બીજી તરફ, અમદાવાદની નિશા ગોસ્વામીએ 99.73 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેના પિતા મોબાઈલ રીપેરીંગ કરે છે. ટ્યુશન ન હોવા છતા પણ નિશાએ ધોરણ-10 બોર્ડના રિઝલ્ટમાં એવી ઝળહળતી સફળતા મેળવી છે કે, માતાપિતાનું નામ સમગ્ર અમદાવાદમાં ગુંજતું કર્યું છે. નાનકડા એવા એક જ રૂમના મકાનમાં અભ્યાસ કરવો મુશ્કેલ હતો, તેમ છતાં નિશાએ 99.73 પર્સન્ટાઈલ મેળવી બતાવ્યા, જે બતાવે છે કે, સારુ પરિણામ મોંઘાદાટ ટ્યુશન ક્લાસિસનું મોહતાજ નથી.
સુરતના દેવ સુતરિયા નામના વિદ્યાર્થીએ પણ 99.99 પર્સન્ટાઈલ મેળવીને સ્કૂલ તથા માતાપિતાનું નામ રોશન કર્યું છે.
કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
આ વખતે કુલ 11 લાખ 59 હજાર 762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 7 લાખ 5 હજાર 465 વિદ્યાર્થીઓ અને 4 લાખ 54 હજાર 297 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તો લગભગ 6 હજાર 222 ડિસેબલ વિદ્યાર્થીઓએ 10માં ધોરણની પરીક્ષા આપી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરના કુલ 69 હજાર 906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 53 હજાર 581 વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી. મહત્વનું છે કે આ વખતે 12 હજાર 694 જેટલા વિદ્યાર્થીઓ NCERT આધારિત અભ્યાસક્રમની પરીક્ષા આપી હતી.
રિઝલ્ટ પહેલા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી
આજે ધોરણ-10નું બોર્ડનું પરિણામ પરિણામ પહેલા એક વિધાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધોરણ-10ની વિધાર્થીનીએ ઘરમાં ફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેની હાલત તો હાલ ગંભીર છે, પણ તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણી શકાયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે