ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયો છે. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તે વિસ્તારોમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અનુરોધ કરીને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ જે જિલ્લામાં વધુ વરસાદ હોય તે તમામ જિલ્લાઓમાં ભયજનક રોડ ઉપર ટ્રાફિક બંધ કરાવવા અને ખાસ કરીને નદીનાળા ઉપરથી ચાલતા વરસાદી પાણીમાં કોઈ નાગરિકો વાહન સાથે પ્રવેશે નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. જિલ્લાના દરેક તાલુકામાં ઈલેક્ટ્રીક સીટી સપ્લાય લાંબા સમય સુધી બંધ ન રહે તે માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી સતર્ક રહેવું જેના પરિણામે પીવાનું પાણી નાગરિકોને સમયસર મળે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે. વરસાદને પરિણામે જે ગામોમાં વીજપ્રવાહ નિષ્ફળતાના કારણે અથવા દુષિત પાણીની સમસ્યાના કારણે પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ પાસે ઈમરજન્સી ટેન્કર વ્યવસ્થાની યાદી તૈયાર રખાવવી.
ભારે વરસાદને પરિણામે રોડ તૂટવાના કારણે, માટી ધસી જવાના કારણે કે નાળું બેસી જવાના કારણે જો કોઈ ગામે જવાનો રસ્તો બંધ થયો હોય તો વરસાદ રહી જાય પછી તુરંત રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા રસ્તાનું કામ ચલાઉ સમારકામ તુરંત હાથ ધરાય તે જરૂરી છે જેથી જરૂર પડે જે તે ગામની મદદ પહોંચાડવા સંદર્ભે કામગીરી સત્વરે કરી શકાય.
દરેક તાલુકામાં વરસાદના પરિણામે પશુધન મૃત્યુ પામે તો તેનું રિપોર્ટિંગ થાય, પશુધન નિરીક્ષકની ટીમો યોગ્ય સંખ્યામાં ફિલ્ડમાં ઉતારી તેની નોંધણી થાય ત્યારબાદ આરટીઓ દ્વારા મેળવવામાં આવેલ જેસીબી દ્વારા અથવા સ્થાનિક સ્તરે ટ્રેક્ટર દ્વારા ખાડા ખોદી દાટવા પડે જેથી રોગચાળો ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે. એ જ રીતે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જાય તો, સિંચાઇ વિભાગ પાસે પાણી ઉલેચવા માટે ના પમ્પ અને તે માટે જરૂરી વાહનો ટીમ સાથે સતર્ક રાખવાના રહેશે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરી જાય તે પછી તુરંત જે તે વિસ્તારની સફાઈ થાય તે માટે ટીમો તહેનાત રાખવી અને જંતુનાશક પાવડર તાત્કાલિક છંટકાવ કરવામાં આવે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની રહેશે.
સ્થાનિકકક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા પંચાયત અને અન્ય કચેરીઓના એન્જિનિયરોની યાદીઓ મંગાવી મકાન નુકસાનની આકારણીની ટીમો પહેલેથી તૈયાર રાખવી. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવે અને નાણાકીય સહાય ચૂકવવાના આદેશ થાય તેવા સંજોગોમાં આ માટેની ટીમોના આદેશ પહેલેથી તૈયાર કરી રાખવા. ભારે વરસાદને પરિણામે જો નુક્સાન થાય તો, નુકસાનીના સરવે માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારએ સંપૂર્ણ વ્યવસ્થા માટે સઘન આયોજન કરી રાખવાનું રહેશે એમ વધુમાં જણાવાયું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે