તેજશ મોદી/ સુરત: સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓનો આવકનો શ્રોત કરવેરા હોય છે, મકાન-મિલ્કત વેરા સહિતના માધ્યમોથી મળી આવકથી શહેરના વિકાસના કામો કરવામાં આવે છે. દરવર્ષે ઉઘરાવવામાં આવતા વેરા અનેક મિલકતદારો દ્વારા ભરવામાં આવતો નથી, જેને કારણે કરોડો રૂપિયાનું લેણું મહાનગરપાલિકામાં ભરવામાં આવતું નથી.
મહાનગરપાલિકા અનેક વખત આવા મિલકતદારોને નોટીસ આપી અને મિલ્કતો સીલ કરી પોતાના બાકી લેણાંની ઉઘરાણી કરતી હોય છે, ત્યારે હવે મહાનગરપાલિકાએ બાકી વેરા નહીં ભરનારા મિલકતદારોની મિલકતોને સીલ મારવાની સાથે સાથે તેમની બિલ્ડિંગોની બહાર પોસ્ટરો મારવામાં આવી રહ્યા છે. રાંદેર ઝોન દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી છે.
રાંદેર ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગોની ઓફીસ, દુકાનોનો લાખો રૂપિયાની વેરો ભરવાનો બાકી છે, ત્યારે મહાનગરપાલિકાના આકરણી અને વસુલાત વિભાગ દ્વારા આવી તમામ દુકાનો ઓફિસોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ દુકાનો અને ઓફિસોને સીલ માર્યા બાદ તેજ બિલ્ડિંગની બહાર બેનર અને પોસ્ટર લગાવ્યું છે, આ બેનર-પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, કે બાકી વેરો ભરવામાં નહીં આવતા ઓફિસ - દુકાનોની સીલ મારવામાં આવ્યું છે. જેટલા રૂપિયા બાકી છે તેની સાથે દુકાન-ઓફિસોના નંબર પણ લખવામાં આવ્યા છે. આમ વેરો નહીં ભરનારાનાં શરમમાં મુકવાનો પ્રયાસ કરાયો છે, જેથી કરી તે પોતાનો બાકી વેરો ભરી દે તે માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે