અમદાવાદ : અમદાવાદની વીએસ હોસ્પિટલમાં યુવકના શંકાસ્પદ મોતના મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે યુવકનું મોત દેશી દારૂ પીવાથી નહીં પરંતુ બીમારીના કારણે થયુ છે. આ મામલામાં પોલીસ અને ડોક્ટરોએ લઠ્ઠાકાંડની વાત નકારી દીધી છે.
વાસણાના ગુપ્તાનગરમાં રહેતા અશોકભાઈ શનિવારે બપોરે વાસણા એ.પી.એમ.સી. પાસેથી પસાર થતા સમયે ચક્કર ખાઈને પટકાયા હતા જેના પગલે સારવાર માટે તેમને વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયા હતા. રવિવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અશોકભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમયે મૃતકના સ્વજનોએ દારૂ પીવાની ટેવ ધરાવતા અશોકભાઈનું લઠ્ઠાના કારણે મોત નિપજ્યાના આક્ષેપ કર્યા હતા. પરિવારનો આક્ષેપ હતો કે સરખેજ તરફથી દારૂ પીને આવતા સમયે અશોકભાઈનું મૃત્યુ થયુ છે. જો કે, પોલીસે પરિવારના આક્ષેપને ફગાવી દીધો છે અને કહ્યું છે કે અશોકભાઈનું મોત બીમારીના કારણે થયું છે.
જોકે, પોલીસનું કહેવું છે કે ચક્કર આવવાથી મૃત્યુ પામેલા અશોકભાઈનું મૃત્યુ ખરેખર કયા કારણે થયું છે એ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે