નરેન્દ્ર ભુવેચિત્રા, તાપીઃ તાપી જિલ્લાના નિઝર તાલુકાના નવા નેવાળા ગામે થોડા સમય પહેલા પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવકનું નામ ગણેશભાઈ અને યુવતીનું નામ રંજનાબેન હતું. આ બંનેએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઓગસ્ટ 2022માં બંનેએ દુનિયાને અલવિદા કહ્યું હતું. હવે તેમના પરિવાર દ્વારા આદીવાસી પરંપરા મુજબ બંનેની મૂર્તિ સ્થાપી લગ્ન કરાવવામાં આવ્યા છે.
મૂર્તિના લગ્ન કરાવ્યા
આપઘાતમાં મૃત્યુ પામેલા યવક અને યુવતીની મૂર્તિ જેને આદિવાસી બોલીમાં પાટલી કહેવામાં આવે છે. પરિવારજનો દ્વારા યુવક અને યુવતીની પાટલી બનાવી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આપઘાત કરનાર ગણેશ દીપકભાઈ પાડવી (ઉંમર વર્ષ 21) અને રંજનાબેન મનીષ પાડવી (ઉંમર વર્ષ 20) ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. આદિવાસી પરંપરા અનુસાર વિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, બોટમાં આગ લાગતા બચાવ્યો 7 માછીમારોનો જીવ
ઓગસ્ટ 2022માં કર્યો હતો આપઘાત
પ્રાપ્ત વિગત અનુસાર નિઝર તાલુકાના નેવાળા ગામના પ્રેમી પંખીડાએ જુના નેવાળા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડા વડે આત્મહત્યા કરી લીધી હતી. નિઝર તાલુકાના નેવાળા ગામમાં રહેતા ગણેશભાઈ પાડવી અને રંજનાબેન પાડવી એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ ગણેશના પિતા દીપકભાઈ આ સંબંધથી ખુશ નહોતા.
ત્યારબાદ પિતાએ પુત્રને પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આ પ્રેમી પંખીડાને ખોટું લાગી આવ્યું હતું. બંનેના લગ્ન થવા શક્ય ન હોવાનું લાગ્યા બાદ યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે