ચેતન પટેલ/સુરત :ગઈકાલે આરોગ્ય સચિવ સુરતમાં નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે. ત્યારે સુરતમાં આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવા આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. જોકે, સુરતમાં અન્ય ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકશે.
તો બીજી તરફ, રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે. સાવચેતીના ભાગરૂપે મનપા નિર્ણય લઇ શકે છે. લોકોમાં હજુ પણ જાગૃતતાનો અભાવ જોવા મળે છે તેવું રાજકોટ મ્યુ. કમિશ્નરે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. ત્યાં તેમણે ગઈકાલે શહેરમાં કોરોનાની સ્થિતિને લઈને બેઠક યોજી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલમાં વધારાના 1000 બેડની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન જયંતિ રવિએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે