અતુલ તિવારી/અમદાવાદ: આજથી ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેના કારણે વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે.
28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે. હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આજથી 12 એપ્રિલ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે. જેના પર ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે.
સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે.
આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે