ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચાલવતા એક ઇસમની બે ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બે ઈસમો સોડા લેવા આવ્યા હતા. પરંતુ ફાટેલી નોટ નહિ લેતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
સોડા મામલે ગુસ્સે થયેલા શખ્સોએ હત્યા કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટીચાલ આવેલી છે. 28 વર્ષીય અમરદીપ નામનો યુવાન કરીયાણાની દુકાન ચલાવતો હતો. ગત રાત્રે તે દુકાન પર બેસ્યો હતો, ત્યારે બે ઈસમો ત્યાં આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માંગી હતો. જોકે, નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી. જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ ગુસ્સે થયેલા બંને શખ્સોએ અમરદીપ પર હુમલો કર્યો હતો. અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ક્રાઈમની ઘટનાઓ સુરત પોલીસ પર કાળી ટીલ્લી સમાન
સુરતમાં સતત હત્યા અને મારમારી જેવા ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. જો હજુ પણ પોલીસ આ બાબતે ગંભીરતા નહિ લે તો આવનારા દિવસોમાં વધુ આવી ગંભીર ઘટનાઓ બને તો નવાઇ નહિ. બાદમાં આ ઘટનામાં આ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ, ઝુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે