હાર્દિક દિક્ષીત/વડોદરા :ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર સૌથી વધુ છે, તેમાં વડોદરા પણ બાકાત નથી. ત્યારે વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. રિફાઇનરી (Gujarat Refinery) માં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ 166 લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા પૈકીના 71 કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં જ રહે છે. ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના (corona case) વકરવાની પ્રથમ ઘટના બની છે.
તો બીજી તરફ નંદેસરીની SBI બેંકમાં પણ કોરોના ફાટ્યો છે. બ્રાન્ચના 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ (corona case) આવ્યા છે. આટલા બધા કર્મચારીઓ એકસાથે સંક્રમિત થતા બેંક બંધ કરવાની ફરજ પડી છે. GIDC ના મોટાભાગના ઉદ્યોગોના બેંત એકાઉન્ટ આ SBI બ્રાન્ચમાં છે. ત્યારે લાંબો સમય બેંક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ પડી શકે છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ બેંક ફરી શરૂ કરાશે.
વડોદરામાં જીવલેણ કોરોના એક શિક્ષિકાને ભરખી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. શિક્ષણ સમિતિની શાળામાં કોરોનાના કારણે મોતની પ્રથમ ઘટના સામે આવી છે. આ શાળામાં 35 જેટલા શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અગાઉ 25 શિક્ષકો સંક્રમિત થયા હતા. છેલ્લા બે દિવસમાં 10 શિક્ષકો સંક્રમિત થતા આંકડો 35 એ પહોંચ્યો છે. કોરોના બેકાબૂ બનતા શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વડોદરા શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાક માં 353 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. તો સામે 103 દર્દીઓની હાલત ગંભીર છે, જેઓ હાલ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી વડોદરામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ 27998 થયા છે. આજે વધુ 1 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 249 એ પહોંચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે