હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગી આગાહીના પગલે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટિની બેઠક મળી હતી. ગુજરાતમાંથી કુલ 1760 જેટલી બોટ અત્યારે દરિયામાં છે, જે પૈકી સૌથી વધુ પોરબંદર જુલ્લાની 1152 બોટ દરિયામાં જેમાં 251 માછીમારો સવાર છે. તમામ માછીમારોને પરત ફરવા સુચના આપી દેવામાં આવી છે.
આર્મી, કોસ્ટગાર્ડ, NDRF સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આવતીકાલ સવાર સુધીમાં તે ચક્રાવાતમાં ફેરવાઈને પાછળથી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. કચ્છમાં બુધવાર સાંજથી વાવાઝોડાની અસર થવાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની હોવાથી તમામ વિભાગોની બેઠક બોલાવી છે. ગુજરાતમાં કોઇપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોનું સંકલન સાધવામાં આવશે તેવું એમ.કે કોઠારીએ જણાવ્યું હતું.
કાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે, ત્યારે ગુજરાતને બહુ જ જલ્દી ગરમીથી રાહત મળશે. 11 જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ 12 જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતની જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી 11 જૂને ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સાથે જ 12મી જૂને રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો 13મી જૂને પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.
અરબી સમૂદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. જેથી રાજ્યની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. 9૦ થી 1૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. 14 તારીખે પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને એલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર 1નું સિગ્નલ લગાવ્યું છે.
ગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સિગ્નલને પગલે મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઈ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે