ગૌરવ દવે/રાજકોટ: સમગ્ર દેશમાં હાલ માહોલ રામમય બનેલો છે. ચારે બાજુ જય શ્રી રામનો જયઘોષ સંભળાઈ રહ્યો છે. ત્યારે આજે અમે આપને એક એવા વનની સહેર કરાવીશું, જેને નિહાળી તમે પણ રામાયણ કાળનો અનુભૂતિ કરી શકશો. આ રામવનનો નજારો એટલો રમણીય છે કે તમે ત્યાં જવાની તમારી ઈચ્છાને રોકી નહીં શકો.
પ્રભુ રામની ભવ્ય પ્રતિમા, પ્રભુની ચરણપાદુકા, રામ અને ભરતનું મિલન, વાલ્મિકી ઋષિ, ગોસ્વામી તુલસીદાસ, સંજીવની લઈને આવતા રામદૂત હનુમાન, પ્રભુને મીઠા બોર જમાડતી શબરી, પ્રભુ રામની કુટીર...રામાયણ કાળની અનુભૂતિ કરાવતા આ દ્રશ્યો નયનરમ્ય અને રમણીય છે. ચારે બાજુ હરિયાળી અને વચ્ચે બનાવવામાં આવેલી રામાયણની આ તમામ પ્રતિકૃતિઓ મનને શાંતિની અનુભૂતિ કરાવે છે. આ રમણીય રામવન બીજા કોઈ રાજ્ય કે દેશ નહીં પરંતુ આપણા ગુજરાતમાં જ આવેલું છે.
સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટના આજીડેમ પાસે મહાનગરપાલિકાએ 14 કરોડના ખર્ચે આ સુંદર રામવન તૈયાર કર્યું છે. 47 એકરમાં ફેલાયેલું આ ગુજરાતનું પ્રથમ રામ વન છે. જેમાં ભગવાન રામના વનવાસ સહિત સમગ્ર જીવન ચરિત્રના પ્રસંગો અહીં પ્રતિકૃતિ તરીકે અહીં પ્રસ્થાપિત કરાયા છે. સાડા ત્રણ કિલોમીટરના રસ્તા, અઢી કિલોમીટરની કંપાઉન્ડ વોલ, બે તળાવ, પાથ વે, કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ, સોલાર લાઈટ, રામસેતુ, એમ્પ થીયેટર, રાશીવન સહિતની સુવિધાઓ આ રામવનમાં અનેરુ આકર્ષણ જમાવે છે. અને તેના જ કારણે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં મુલાકાતે આવી રહ્યા છે.
શું છે રામવનની વિશેષતા?
નયનરમ્ય નજારો બતાવતા આ રામવનની વિશેષતાઓ પણ તમે જાણી લો..રામયણની ઝાંખી કરાવતા 22 સ્કલ્પ્ચરો, 55થી 60 પ્રજાતિના અલગ અલગ 60 હજાર વૃક્ષ, અલગ અલગ બે તળાવ, રામસેતુ, પ્રવાસીઓ માટે ફુડકોર્ટ, પ્રવેશ માટેનો આકર્ષક ધનુષબાણનો ગેટ, 30 ફુટ ઊંચ ભગવાન રામની પ્રતિમા, રામ, લક્ષ્મણ અને જાનકીના વનવાસનું સ્કલ્પ્ચર, રામ અને શબરીના મિલનની પ્રતિમા, સંજીવની લઈને જતા હનુમાનજીની પ્રતિમા, રામ-સિતા અને હરણનો સ્કલ્પ્ચર, રામ અને સુગ્રીવ સેનાનું સ્કલ્પ્ચર અને ગીધરાજ જટાયુની પ્રતિકૃતિ...આ તમામ પ્રતિમાઓ રામવનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.
શું છે રામવનમાં આકર્ષણ?
હાલ સમગ્ર દેશમાં માહોલ રામમય છે. પ્રભુ રામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે આ રામવનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો ખાસ તંત્ર દ્વારા 22 જાન્યુઆરીએ વિનામૂલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. રામાયણ શું છે અને તેનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે થીમ પર તૈયાર કરાયેલું આ રામવન હાલના માહોલમાં એક સુંદર નજરાણું બની ગયું છે. તો તમે પણ આ અવિસ્મરણિય માહોલની મજા માણવા માટે રામવનની મુલાકાતે પહોંચી જજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે