ગુજરાત : પીએમઓ ઓફિસમાં કામ કરતા પીઆરઓ તરીકે કામ કરતા જગદીશ ઠક્કરનું નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઊંડો શોક વ્યકત કરતા કહ્યું કે, જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે અનેક વર્ષો સુધી કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હી બંને સ્થાન પર તેમની સાથે કામ કરવું આનંદદાયક રહ્યું. તેઓ પોતાની સાદગી અને જોશીલા સ્વભાવ માટે ઓળખાતા હતા.
પીએમએ કહ્યું કે, અનેક પત્રકારો વર્ષોથી જગદીશભાઈના સંપર્કમાં રહ્યા હશે. તેઓ ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા હતા. અમે એક અદભૂત વ્યક્તિ ગુમાવી છે. તેમણે હંમેશા પોતાના કામ સાથે પ્રેમ કર્યો છે. તેમણે અખૂટ મહેનત કરી. પીએમએ તેમના પરિવાર અને શુભેચ્છકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.
જગદીશ ઠક્કરની કારકિર્દી
જગદીશ ઠક્કર CMOમા PRO તરીકે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન આવ્યા હતા. મૂળ માહિતી ખાતામાં ભાવનગરથી કારકિર્દીનો પ્રારંભ કરનાર જગદીશ ઠક્કરે ગુજરાતના અમરસિંહ ચૌધરીથી માંડી નરેન્દ્ર મોદી સુધીના કાર્યકાળમાં CMOમા PRO તરીકે ફરજ બજાવી હતી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી વડાપ્રધાન તરીકે દિલ્હી સુધીની સફરમાં નરેન્દ્ર મોદીના પડછાયાની જેમ કામ કરવાનો પ્રયાસ તેમણે સતત કર્યો. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર, PROતો જગદીશ ઠક્કર જ હોય તેવી કામગીરી તેઓએ નિભાવી હતી. દરેક મુખ્યમંત્રીના અંગત વિશ્વાસુ તરીકે તેઓએ કામગીરી નિભાવી. ક્યારેય સીધી રીતે વિવાદમાં આવ્યા નથી. માહિતી ખાતામાં આવતા પહેલા સૌરાષ્ટ્રના અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવી ચુકેલા હતા. માહિતી ખાતામાં 1986માં જિલ્લા માહિતી અધિકારીથી જોડાઈ ને અધિક નિયામક તરીકે રિટાયર થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે