ઝી મીડિયા/સુરત :ગુજરાતમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. અમદાવાદનો આયશા આત્મહત્યા કેસ સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. જેના બાદ પણ કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને તણાવમાં આવેલો યુવા વર્ગ આત્મહત્યાના રસ્તે ધકેલાય છે. ત્યારે આવામાં આજે સુરતમાં આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રિજ પર આત્મહત્યા કરવા ચઢેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. એક ટીઆરબી જવાને યુવકને બચાવી લીધો હતો.
બન્યું એમ હતું કે, સુરતના રિંગરોડ પર કાપડ માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં એક યુવક કામ કરે છે. ત્યારે અચાનક આ યુવક રિંગરોડ પાસેથી પસાર થઈ રહેલા ઓવરબ્રિજ પર ચઢી ગયો હતો. યુવક બ્રિજ પર ચઢીને આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. ત્યારે તે સમયે બ્રિજ પરથી ટીઆરબી જવાનો રોહિત વિજય ભાઈ અને સાગર સુરેશ ભાઈ અને લોકરક્ષક હિતેશ ભાઈની નજર યુવક પર પડી હતી. તેઓ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.
ત્રણેય ટીઆરબી જવાનો નજર ચૂકવીને યુવકની નજીક પહોંચી ગયા હતા. તેઓએ યુવકને ખેંચી લીધો હતો. જોકે, બાદમાં યુવકને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. યુવકે પોતે આર્થિક ભીંસમાં આવીને આવુ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે યુવકની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલા સમયથી સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે.
આ પણ વાંચો : સ્મશાનમાં ઠેર ઠેર સળગતી ચિતાઓ પોકારી પોકારીને કહે છે કે, ‘હા અમે કોરોનાના દર્દી હતા’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે