નવી દિલ્હીઃ જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધ કરવાના મુદ્દા પર દિલ્હી મહિલા પંચે મસ્જિદના ઇમામને નોટિસ ફટકારવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સ્વાતિ માલિવાલે કહ્યું, 'જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય ખોટો છે. જેટલો હક એક પુરૂષને ઇબાદતનો છે એટલો એક મહિલાનો પણ. હું જામા મસ્જિદના ઇમામને નોટિસ ફટકારી રહી છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો અધિકાર કોઈને નથી.'
નોંધનીય છે કે જામા મસ્જિદના ત્રણેય એન્ટ્રી ગેટ પર એક નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખ્યું છે- જામા મસ્જિદમાં એકલી યુવતીઓ કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
શું કહેવું છે શાહી ઈમામનું?
મીડિયા રિપોર્ટ પ્રમાણે જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીનું કહેવું છે કે તેવી ફરિયાદો મળી રહી હતી કે યુવતીઓ પોતાના પ્રેમીની સાથે મસ્જિદમાં આવે છે. આ કારણે એકલી આવતી યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
શાહી ઇમામે કહ્યું કે જો કોઈ મહિલા જામા મસ્જિદ આવવા ઈચ્છે છે તેણે પરિવાર કે પતિની સાથે આવવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નમાજ પઢવા માટે આવતી મહિલાઓને રોકવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ બે વર્ષમાં રખડતા કૂતરાના 75 ટકા હુમલા ઘટ્યા, અચાનક કેમ વધ્યો છે કૂતરાંનો ત્રાસ?
વિશ્વ હિન્દુ પરિષદની પ્રતિક્રિયા
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે તેની આલોચના કરતા ટ્વીટ કર્યુ કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા પાળેલા આ મુસ્લિમ કટ્ટરપંથી ઈરાનની ઘટનાઓથી પણ શીખ લઈ રહ્યાં નથી, આ ભારત છે. અહીંની સરકાર બેટી બચાવો, બેટી પઢાવો પર ભાર આપી રહી છે.
તો બીજીતરફ સહારનપુર મુસ્લિમ ધર્મગુરૂ અને જમીયત દાવતુલ મુસ્લિમીનના સંરક્ષક કારી ઇસહાક ગોરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કારી ઇસહાક ગોરાનું કહેવું છે કે જામા મસ્જિદની ઇંતજામિયાએ જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે અને કોઈએ તેના પર વિરોધ ન કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે