નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં વિવાદિત બાબરી મસ્જિદના સ્થાન અંગે સુનાવણી ચાલી રહી છે. આજે 26મા દિવસની સુનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવ્યું કે, 'રામચરિતમાનસ'માં પણ ભગવાન રામના જન્મસ્થાન અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો નથી. માત્ર એટલું જ કહેવાયું છે કે, ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા. રાજીવ ધવને જણાવ્યું કે, પ્રાચીન કાળમાં ભારતમાં મંદિરો પર હુમલો કોઈ ધર્મ પ્રત્યેના વેરભાવના કારણે નહીં, પરંતુ માત્ર સંપત્તિ લૂંટવા માટે કરાયો હતો.
સુનાવણી દરમિયાન સુન્ની વકફ બોર્ડ તરફથી દલીલો રજુ કરતા વકીલ રાજીવ ધવને અનેક ઐતિહાસિક પુસ્તકોનો હવાલો આપ્યો હતો. ધવને જણાવ્યું કે, 1855થી હિન્દુ અને મુસ્લિમ બંને વિવાદિત સ્થળે પૂજા કરતા રહ્યા છે. મુસ્લિમો અંદર નમાજ પઢતા હતા અને હિન્દુઓ બહાર પૂજા કરતા હતા.
દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ
ધવને જણાવ્યું કે, હિન્દુ પક્ષ તરફથી દાવો કરાયો છે કે, વિલિયમ ફિન્ચે અયોધ્યામાં વિવાદિત સ્થળે કોઈ મસ્જિદ અંગે લખ્યું નથી. જોકે એક વિદેશી પ્રવાસી વિલિયમ ફોર્સ્ટરે વિવાદિત સ્થળે મસ્જિદ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, એ બાબત પણ સ્પષ્ટ નથી કે મંદિર બાબરે તોડ્યું હતું કે ઔરંગઝેબે. ધવને એક ગેઝેટિયરનો હવાલો આપતા જણાવ્યું કે, આ ગેઝેટિયરમાં પણ ચબુતરા અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી.
રાજીવ ધવને જણાવ્યું કે, લોકો જમીન પર એક રૂમ માટે લડી રહ્યા છે. 1885માં સમગ્ર જમીન મુસ્લિમને આપવામાં આવી હતી અને બહાર હિન્દુઓને પૂજા કરવાની અનુમતિ અપાઈ હતી. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું કે, 1855 પહેલા વિવાદિત સ્થળનો મસ્જિદ તરીકે ઉપયોગ કરાતો હતો.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે