દિલ્હીમાં નવી દિલ્હી વિધાનસભા બેઠકથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારતા આમ આદમી પાર્ટીમાં જાણે સન્નાટો છવાઈ ગયો છે. ભાજપના પ્રવેશ વર્માએ તેમને હરાવી દીધા. કેજરીવાલે 2013માં આ સીટથી શિલા દિક્ષીતને હરાવીને પહેલીવાર ચૂંટણી જીતી હતી. 2020 સુધી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો. દસ વર્ષ બાદ તેમણે આ સીટ પર હારનો સામનો કરવો પડ્યો. રાજકીય પંડિતોનું માનીએ તો કેજરીવાલ ભાજપથી નહીં પરંતુ કોંગ્રેસથી હાર્યા છે.
માતાની હારનો બદલો?
વાત જાણે એમ છે કે નવી દિલ્હી સીટથી શિલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીત પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા. એવું કહેવાય છે કે ભલે સંદીપ દિક્ષીત ચૂંટણી હારી ગયા હોય પરંતુ તેમણે માતાની હારનો બદલો કેજરીવાલને હરાવીને લઈ લીધો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે તેમણે કેજરીવાલ જોડે બદલો કેવી રીતે લીધો?
કેજરીવાલ 4000 મતથી ચૂંટણી હાર્યા
ચૂંટણી પંચના આંકડા મુજબ અરવિંદ કેજરીવાલ 4089 મતથી ચૂંટણી હાર્યા છે. જ્યારે સંદીપ દિક્ષીતને 4568 મત મળ્યા છે. જો દિલ્હીમાં આપ અને કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડ્યા હોત તો કેજરીવાલ ચૂંટણી જીતી જાત. એટલે કે કેજરીવાલની જીતમાં સૌથી મોટો રોડો સંદીપ દિક્ષીત બન્યા જેનો ફાયદો ભાજપને મળી ગયો.
કોને કેટલા મળ્યા મત
ચૂંટણી પંચના આંકડા મુજબ નવી દિલ્હી વિધાનસભા સીટથી ભાજપના પરવેશ વર્માને 30088 મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 25999 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દિક્ષીતને 4568 મત મળ્યા. આ રીતે પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને 4089 મતથી હરાવીને વિધાનસભામાંથી બહાર કરી દીધા. બીજી બાજુ સંદીપ દિક્ષીતે ચૂંટણી હારીને પણ કેજરીવાલ જોડે જાણે 'બદલો' વાળી લીધો છે.
હારના અનેક કારણ હોઈ શકે
જો કે રાજકીય પંડિતોનું માનવું છે કે કેજરીવાલની હારના અનેક કારણો હોઈ શકે છે. નવી દિલ્હીમાં ભાજપના પરવેશ વર્માએ ધૂરંધર પ્રચાર કર્યો હતો. સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધતા રહ્યા. આ કારણ હતું કે તેઓ જનતાનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા. સંદીપ દિક્ષીતની હાજરીથી કેજરીવાલના મત વહેંચાઈ ગયા જેના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થયું એમ માનવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે