નવી દિલ્હીઃ ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, ભારત તેની સરહદ પર જટિલ અને વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે, જે દેશની ક્ષેત્રીય અખંડિતા અને આંતરિક સ્થિરતા સામે જોખમ છે. જનરલ રાવતે સૈન્ય કર્મચારીઓને આપેલા નવા વર્ષના સંદેશામાં સરહદ પરનાં પકડારોનો સામનો કરવા અને આતંકવાદ સામેના જોખમની ટક્કર લેવામાં સૈનિકોના સામુહિક સાહસ, પ્રતિબદ્ધતા અને બલિદાનની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે, 'આપણે સરહદ પર જટિલ અને વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. જેનાથી આપણા દેશની ક્ષેત્રીય અખંડિતા અને આંતરિક સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.' જોકે, રાવતે અહીં ચીનને અડીને આવેલી ભારતની લગભગ ચાર હજાર કિમી લાંબી સરહદ અને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો ન હતો.
2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી
શું કહ્યું સેના પ્રમુખે?
સૈન્ય વડાએ જણાવ્યું કે, 'ક્ષેત્રિય અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે આપણો અટલ સંકલ્પ સૈનિકોના સામુહિક સાહસ, પ્રતિબદ્ધતા અને બલિદાનથી સાબિત થયો છે, જેમણે અત્યંત પડકારજનક, પ્રતિકૂળ અને અત્યંત વિપરિત પરિસ્થિતિઓમાં પણ પોતાની જવાબદારી અદા કરી છે.'
ભારતીય સેના ઘુસણખોરીના પ્રયાસો અને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેના તરફથી કરવામાં આવતા અવાર-નવાર ગોળીબારનો જડબાતોડ જવાબ આપે છે.
જનરલ રાવતે ભારતીય સેનાને દુનિયાની સૌથી વધુ અનુશાસિત અને વ્યવસાયિક સેનાઓમાંની એક જણાવી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ તેના આ ગૌરવની ગરિમા અને સન્માનને સંરક્ષિત રાખવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે