Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ-AAP વચ્ચે પાક્કી થઈ ડીલ, ગુજરાતની આ 2 બેઠક પર AAP અને બાકીની બેઠકો પર કોંગ્રેસ લડશે ચૂંટણી

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સીટ શેરિંગ ફોર્મ્યૂલા અંગે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી.જેમાં ગુજરાતમાં 2 બેઠકો પર આપ અને બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. આ સિવાય દિલ્હી, પંજાબ, સહિત અન્ય રાજ્યો માટે શું નક્કી કર્યું તે પણ જાણો. 

કોંગ્રેસ-AAP વચ્ચે પાક્કી થઈ ડીલ, ગુજરાતની આ 2 બેઠક પર AAP અને બાકીની બેઠકો પર કોંગ્રેસ લડશે ચૂંટણી

Congress-AAP Alliance: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સીટ શેરિંગ ફોર્મ્યૂલાની આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક, અને સૌરભ ભારદ્વાજ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં જ્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અવિંદર સિંહ લવલી સામેલ થયા હતા. કોંગ્રેસના મુકુલ વાસનિકે જણાવ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સામેલ પાર્ટીઓ વચ્ચે સીટ ફાળવણી અંગે ચર્ચા થઈ રહી હતી. બે દિવસ પહેલા લખનઉમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત થઈ. અહીં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ જે ગઠબંધન થયું છે તે ફક્ત લોકસભા ચૂંટણી માટે થયું છે. વિધાનસભા પેટાચૂંટણી માટે ગઠબંધનનો નિર્ણય બે દિવસમાં લેવાઈ શકે છે. 

fallbacks

દિલ્હી માટે શું નક્કી થયું?
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ ફાળવણીને લઈને લાંબી ચર્ચા થઈ અને સીટ શેરિંગ ડીલ નક્કી થઈ. મુકુલ વાસનિકે જણાવ્યું કે દિલ્હીમાં લોકસભાની 7 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 4 બેઠકો નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, અને ઈસ્ટ દિલ્હી પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ બેઠકો પરથી ચૂંટણી લડશે. 

ગુજરાતમાં કોણ કેટલી બેઠક પર લડશે ચૂંટણી
ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકો છે. સીટો વિશે જે રીતે નક્કી થયું છે તે જોતા આમ આદમી પાર્ટી 2 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતની જે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે છે ભરૂચ અને ભાવનગર. ભરૂચ બેઠક માટે જે ખેંચતાણ જોવા મળી રહી હતી તેનો હવે જાણે અંત આવી ગયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવી હતી, જ્યારે પુત્રી મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા હતા. જેને જોતા હવે તેમનું સપનું તૂટ્યું હોય તેવું લાગે છે. 

હરિયાણા માટે આ ફોર્મ્યૂલા
કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે હરિયાણામાં 10 લોકસભા સીટ છે. કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે એક બેઠક કુરુક્ષેત્ર પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. તેમણે ચંડીગઢ વિશે કહ્યું કે લાંબી ચર્ચા બાદ નક્કી થયું કે આ બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે. 

ગોવા
ગોવા પર જાહેરાત કરતા મુકુલ વાસનિકે ક હ્યું કે ગોવાની બંને લોકસભા બેઠક માટે કોંગ્રેસ ચૂંટણી લડશે તેવું નક્કી થયું છે. 

પંજાબ
બંને પક્ષોએ પંજાબ અંગે કોઈ જાણકારી આપી નથી. જેને લઈને હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ સરહદી રાજ્યમાં 'એકલા ચલો'ની નીતિ અપનાવી હોય તેવું લાગે છે. 

મુકુલ વાસનિકે એમ પણ કહ્યું કે હાલમાં ભારતીય લોકતંત્ર સામે ઊભેલા પડકારોને પહોંચી વળવા માટે AAP-કોંગ્રેસે એક સાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અમે પોત પોતાના સિંબોલ પર ચૂંટણી લડીશું. પરંતુ એકજૂથ થઈને લડીશું અને ભાજપને હરાવીશું. 

દેશની જનતાને જીતાડવા માટે આ ગઠબંધન
બીજી બાજુ આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે દરેક રાજ્યની પોતાની અલગ રાજનીતિક પરિસ્તિતિ છે અને પરિસ્થિતિઓને જોઈને ચૂંટણી જીતવાના ઉદ્દેશ્યથી આ ગઠબંધન કરાયું છે. ઈન્ડિયા ગઠબંધનનો જન્મ દેશને જીતાડવા માટે થયો છે. દેશની જનતાને જીતાડવા માટે થયો છે કોઈને હરાવવા માટે થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More