નવી દિલ્હીઃ સાંસદોના વેતનમાં ઘટાડા સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. સાંસદ વેતન, ભથ્થા અને પેન્શન (સંશોધન) બિલ, 2020નું મોટાભાગના સાંસદોએ સમર્થન કર્યું હતું. બધા સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ સિવાય સાંસદ નિધિ પણ 2 વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારે આ નિર્મય કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી સ્થિતિનો મુકાબલો કરવા માટે લીધો છે.
લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન મોટા ભાગના સાંસદોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું, પરંતુ સાથે તેમની માગ રહી કે સરકાર સાંસદ નિધિને સ્થગિત ન કરે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે, સરકાર અમારો બધો પગાર લઈ લે, કોઈપણ સાંસદ તેનો વિરોધ નહીં કરે. પરંતુ સાંસદ નિધિ મળવી જોઈએ, જેના હેઠળ અમે લોકોના ફાયદા માટે કામ કરી શકીએ.
તો આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યુ કે, સરકાર 60 ટકા અમારો પગાર કાપી લે, અમને કોઈ સમસ્યા નથી, પરંતુ સાંસદ નિધિ રોકવાનું કોઈ કારણ નથી. અમારા ક્ષેત્રના લોકોએ ટેક્સના જે પૈસા આપ્યા છે, તે પૈસા તેને પરત મળવા જોઈએ.
વેતન કાપવાથી કેટલા પૈસા બચશે
સંસદના બંન્ને ગૃહોમાં 790 સાંસદો (545 લોકસભા અને 245 રાજ્યસભા)ની વ્યવસ્થા છે. વર્તમાન સમયમાં લોકસભામાં 542 અને રાજ્યસભામાં 238 સાંસદો છે. આ રીતે સંસદમાં 780 સાંસદો છે અને પ્રત્યેક સાંસદોના પગારમાંથી હવે 30 હજાર રૂપિયા કપાશે અને આ રીતે દર મહિને 2 કરોડ 34 લાખ રૂપિયાની બચત થશે. આ સિવાય દરેક સાંસદોને દર વર્ષે 5 કરોડ રૂપિયા તેને સાંસદ નિધિ હેઠળ મળે છે, જે બે વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે