હીતેન વિઠલાણી/દિલ્હીઃ ગાંધીનગરની બેઠક ભાજપ માટે એક મોટો કોયડો બની ગઈ છે. ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી નહીં લડે. તેઓ રાજ્યસભાના સાંસદ હોવાથી પાર્ટી તેમને ચૂંટણી લડાવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે, અમિત શાહની રાજ્યસભામાં 2024 સુધીની ટર્મ છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોઈ રાષ્ટ્રીય નેતા નહીં લડે. પાર્ટી કોઈ સ્થાનિક ઉમેદવારને આ બેઠક પરથી ચૂંટણી લડાવાનું વિચારી રહી છે. તે જોતાં આ બેઠક પર 1991થી ચૂંટાતા આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ આડવાણીનું પત્તુ આ વખત કપાઈ તેવી પૂરેપુરી સંભાવના છે.
ભાજપમાં હાલ કેન્દ્રીય સ્તરે ઉમેદવારો નક્કી કરવા અંગે મનોમંથન ચાલી રહ્યું છે અને બેઠકોના દર ચાલી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2019: આડવાણી આ વખતે ચૂંટણી લડશે કે નહીં? સસ્પેન્સ....!
દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી ચુકેલા 91 વર્ષના આડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય આડવાણીને આપવામાં આવે છે. તેમણે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાન પદનો ઉમેદવાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે