લખનઉઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ લાંબા સમય બાદ જાહેર સભાને સંબોધિત કરતા જોવા મળ્યા છે. તેમણે ગુરૂવારે મૈનપુરીના કરહલમાં સપા કાર્યકર્તાના સંમેલનમાં સંબોધન કર્યુ હતું. મુલાયમ સિંહ યાદવે અહીં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ માટે પ્રચાર પણ કર્યો હતો. મુલાયમ સિંહ યાદવે કહ્યુ કે કિસાન, યુવા અને વેપારી જ આ દેશને મજબૂત કરશે.
મુલાયમ સિંહ યાદવે કહ્યુ કે, દેશના યુવા બેરોજગાર છે. તેમને નોકરી મળવી જોઈએ. યોગી સરકાર આ કરી રહી નથી. હું વિશ્વાસ અપાવુ છું કે રાજ્યમાં સપા સરકાર બનશે તો યુવાઓની નોકરીની વ્યવસ્થા કરવામાં આવશે. મુલાયમ સિંહ યાદવે કહ્યુ કે, કિસાન, યુવાઓ અને વેરારી દેશને મજબૂત કરશે.
સપા સંરક્ષકે કહ્યું કે, કિસાનો માટે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે, તેમના પાકને વેચવાની વ્યવસ્થા કરવામાં આવે. કિસાનોને પ્રાથમિકતા આપવામાં આવે, તેમના માટે સિંચાઈ અને બીજની વ્યવસ્થા કરવામાં આવે જેથી ઉત્પાદન વધી શકે. ઉત્પાદન વધશે તો કિસાનોની સ્થિતિ સુધરશે.
આ પણ વાંચોઃ ચન્નીના 'યુપી-બિહારના ભૈયા'વાળા નિવેદન પર PM મોદીએ કર્યો પલટવાર, કરી આ વાત
અમિત શાહ પણ કરહલમાં
મહત્વનું છે કે કરહલમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. અહીંથી અખિલેશ યાદવ સપાના ઉમેદવાર છે તો ભાજપે કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બધેલને મેદાનમાં ઉતાર્યા છે. રસપ્રદ થતી આ લડાઈમાં આજે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ઉતર્યા છે. તેમણે એસપી સિંહ બધેલ માટે ચૂંટણી પ્રચાર કરી અને સપા પર હુમલો કર્યો હતો.
તેમણે એક જનસભામાં કહ્યું કે, અહીં પર કમળ ખીલાવો તો ઉત્તર પ્રદેશમાં સપાના સૂપડા સાફ થઈ જશે. તેમણે કહ્યું કે, અખિળેશ યાદવે એવું કહ્યું હતું કે ઉમેદવારી બાદ હું ચૂંટણી પ્રચાર કરવા અહીં આવીશ નહીં. પરંતુ હું જોઈ રહ્યો હતો કે, આટલી ઉંમર છતા મુલાયમ સિંહ યાદવને તેમણે ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે