Home> India
Advertisement
Prev
Next

શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ

શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 

શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ

મુંબઈ: સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની આજે હોટલ ગ્રેન્ડ હયાતમાં પરેડ કરાવી અને તેમને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોએ શપથ લીધા. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 

fallbacks

ત્રણેય પક્ષોના ધારાસભ્યોએ શપથ લીધા
મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં ત્રણેય પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 162 જેટલા વિધાયકો ઉપરાંત સમાજવાદી પાર્ટીના અને કેટલાક નાના પક્ષોના તથા કેટલાક અપક્ષ ધારાસભ્યો મીડિયા સમક્ષ પરેડ કરી અને એકજૂથ રહેવાના શપથ લીધા. 

અનૈતિક રીતે સરકાર બનાવવાની શરૂઆત ભાજપે કરી-શરદ પવાર
વિધાયકોને સંબોધતા એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે અનૈતિક રીતે દેશમાં સરકાર બનાવવાની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે. તેમણે મહારાષ્ટ્રમાં અનૈતિક રીતે સરકાર બનાવી. આ અગાઉ તેમણે કર્ણાટક અને મણિપુરમાં પણ આવું જ કર્યું. કાલે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેક્સ અંગે નિર્ણય લેવાશે. આપણે 162 લોકોએ તેના માટે તૈયાર રહેવાનું છે. અજિત પવારનો ભાજપ સાથે સરકાર બનાવવાનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નથી. તેમની સાથે જે નેતાઓ ગયા હતાં તેમને ભ્રમિત કરીને લઈ જવાયા હતાં. હવે અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા છે. 

તેમણે કહ્યું કે કોઈ પણ  પાર્ટીની વિરુદ્ધ નહીં જાય. અજિત પવાર સાથે નહીં જાય. આ વાતની જવાબદારી મારી છે. જે દિવસે ફ્લોર ટેસ્ટ થશે તે દિવસે 162થી વધુ ધારાસભ્યો અમારી સાથે હશે. જે લોકો અનૈતિક રીતે સરકારમાં આવ્યાં છે તેમને સત્તામાંથી હટાવવામાં આવશે. અમારા વિધાયકો સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તૈયાર રહેશે. 

અમારો ભરોસો સત્યમેવ જયતેમાં છે-ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે લોકો માત્ર પાંચ વર્ષ માટે સાથે નથી આવ્યાં. અમે આગામી 10-15 વર્ષ માટે સાથે આવ્યાં છીએ. અમે રાજ્યમાં તેની શરૂઆત કરી છે. હવે અમે શિવાજીનો ઝંડો લઈને સાથે મહારાષ્ટ્રની બહાર પણ નીકળીશું. અમારો ભરોસો 'સત્યમેવ જયતે'માં છે. 'સત્તા મેવ જયતે'માં નહીં.  તેમણે કહ્યું કે મેં ફોટોગ્રાફર્સને પૂછ્યું કે શું બધાનો ફોટો સાથે આવી રહ્યો છે? તો તેમણે કહ્યું કે એટલા બધા લોકો છે કે બધા એક ફ્રેમમાં ન આવી શકે. 

બહું જલદી શપથગ્રહણ થશે-બાળાસાહેબ થોરાટ
કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે ધારાસભ્યોને સંબોધન કરતા કહ્યું કે બહુ જલદી શપથગ્રહણ થશે અને મહારાષ્ટ્રમાં અમારા ગઠબંધનના મુખ્યમંત્રી હશે. હવે આપણે એ વાત જણાવવાની જરૂર નથી કે બહુમત અમારી પાસે છે. દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું પડશે. 

પરેડ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના, પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ ઉપરાંત ત્રણેય પક્ષોના અનેક મોટા નેતાઓ હાજર છે. પરેડ દરમિયાન શરદ  પવારના પુત્રી સુપ્રિયા સુલે પણ હાજર છે. શિવસેના તરફથી આદિત્ય ઠાકરે પણ હાજર છે. કારણ કે 162 ધારાસભ્યોમાંથી એક આદિત્ય પણ છે. કહેવાય છે કે શિવસેનાના 56,  કોંગ્રેસના 44 અને એનસીપીના 54માંથી લગભગ 52 જેટલા વિધાયકો હોટલમાં હાજર છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ છે. 

ઉદ્ધવ અને સુપ્રિયાના ચહેરા પર હાસ્ય રેલાયુ
શનિવારે સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને એનસીપીના ધારાસભ્ય અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા તો શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલે અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. જો કે સાંજ સુધીમાં તો શરદ પવારે અજિત પવાર સાથે ગયેલા એનસીપીના મોટાભાગના ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરી નાખ્યાં. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટેટસ પણ નાખી દીધુ હતું કે તેમની પાર્ટી અને પરિવાર તૂટી ગયા છે. સોમવારે સાંજ હાલ ગ્રેન્ડ હયાત હોટલમાં હાજર સુપ્રિયા અને ઉદ્ધવ બંને હસતા જોવા મળ્યાં. બને પક્ષના ધારાસભ્યો સાથે હસતાં વાતો કરતા જોવા મળ્યાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પણ ઘણા ખુશ જોવા મળ્યા હતાં. 

We are all one and together , watch our 162 together for the first time at grand Hyatt at 7 pm , come and watch yourself @maha_governor pic.twitter.com/hUSS4KoS7B

— Sanjay Raut (@rautsanjay61) November 25, 2019

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે ટ્વીટ કરીને કહ્યું કે અમે બધા એક છીએ. તમે અમારા 162 ધારાસભ્યોને પહેલીવાર હયાત હોટલમાં સાંજે 7 વાગે જોઈ શકશો. સૂત્રોના જણાવ્યાં મુજબ પરેડ કરાવવાનો નિર્ણય ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. સંજય રાઉતે પોતાની ટ્વીટમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું છે કે આવો અને અમને એક સાથે તમે જોઈ શકો છો. 

Maharashtra: ડે.સીએમ બનતા જ અજિત પવારને થયો મસમોટો ફાયદો, 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બંધ

વિધાયકોની પરેડ કરાવીને તેઓ સાબિત કરવા માંગે છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપની સરકાર અલ્પમતમાં છે. જો કે અહીં એ સ્પષ્ટ કરવું કે હોટલમોમાં કે બીજે ક્યાય પરેડ કરાવવાથી કશું થતું નથી. વિધાનસભામાં બહુમત સાબિત કરવા પર બધો મદાર હોય છે. કહેવાય છે કે શિવસેનાના 56, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યોમાંથી 51 હોટલમાં હાજર છે. આ ઉપરાંત સમાજવાદી  પાર્ટીના અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ તેમના પક્ષમાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે થોડીવાર પહેલા જ એનસીપી વિધાયક દળના નેતા જયંત પાટિલે કહ્યું હતું કે અમે કોઈ પણ સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે 162 ધારાસભ્યોની પરેડ  કરાવી શકીએ છીએ. આ બાજુ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓએ પણ તમામ ધારાસભ્યોના સમર્થનના શપથપત્ર સોંપી દીધા છે. આ શપથપત્ર રાજભવનના અધિકારીઓને સોંપવામાં આવ્યાં છે. આ બાજુ સમાજવાદી પાર્ટીએ પણ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં સપાના બે ધારાસભ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More