નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, લૉકડાઉનને કારણે દેશમાં હજુ પણ મહામારી વિકરાળ રૂપ ધારણ કરી શકી નથી. સાથે તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ કે લૉકડાઉન ખોલવામાં આવે પરંતુ તેમ કરી શકીએ નહીં. હાલ દિલ્હીમાં લૉકડાઉનથી કોઈપણ પ્રકારની છૂટ નથી. એક સપ્તાહ બાદ અમે બીજીવાર વિચાર કરીશું કે શું કરવાનું છે.
લૉકડાઉનમાં છૂટ નહીં
લૉકડાઉનમાં છૂટછાટ આપવાની વાત પર સીએમ કેજરીવાલે કહ્યું કે, આપણા દિલ્હીવાસીઓની જિંદગીનો ખ્યાલ રાખતા અમે નિર્ણય કર્યો છે કે હાલ લૉકડાઉનની શરતોમાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં. એક સપ્તાહ બાદ નિષ્ણાંતોની સાથે બેસીને તેનું મૂલ્યાંકન કરીશું અને જરૂર પડી તો ઢીલ આપવામાં આવશે.
11 જિલ્લા હોટસ્પોટ જાહેર
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન છે તેમાં હાલ ઢીલ આપવી જોઈએ નહીં. દિલ્હીમાં 11 જિલ્લા છે અને 11ના 11 જિલ્લામાં હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં ઢીલ આપી શકાય નહીં.
સ્થિતિ નિયંત્રણમાં છે-કેજરીવાલ
સીએમે કહ્યું કે, આજની તારીખમાં દિલ્હીમાં 77 કન્ટેનમેન્ટ ઝોન છે. દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે, પરંતુ હજુ સ્થિતિ નિયંત્રણની બહાર નથી. આજે દિલ્હીમાં 1893 કેસ છે તેમાંથી 26 આઈસીયૂમાં છે અને 6 વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં દેશની 2 ટકા વસ્તી રહે છે પરંતુ દેશમાં કોરોનાના જેટલા મામલા છે તેના 12 ટકા દિલ્હીમાં છે. સૌથી વધુ માર દિલ્હીએ સહન કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે