ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો. ભારતે મંગળવાર-બુધવારની મધરાતે પાકિસ્તાનમાં લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહીદ્દીનના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યા. એવું કહેવાય છે કે આ હુમલા બાદ આ ત્રણેય આતંકી સંગઠનોના આકાઓ પર દુખના પહાડ તૂટી પડ્યા છે. તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આ રીતે કમર તોડી નાખશે. ત્રણેય આકાઓ હાલ લોહીના આંસુ સારી રહ્યા છે. ભારતીય વાયુસેના અને સેનાએ કઈ રીતે આ ત્રણેય આતંકના આકાઓને પાઠ ભણાવ્યો અને કેટલો મોટો ફટકો માર્યો તે જાણો.
હાફિઝ સઈદ (લશ્કર એ તૈયબા)
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર એ તૈયબાનો ચીફ હાફિઝ સઈદના ત્રણ મહત્વા ઠેકાણા હતા. જેમાં મુરિદકે, સવાઈ નલ્લા અને મરકઝ અહલે હદીસ (બરનાલા)નો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ તેના ત્રણેય ઠેકાણા સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યા છે. મુરિદકે કેમ્પ જે લશ્કરનો વૈચારિક અને સૈન્ય કેન્દ્ર હતું તે ઈન્ટરનેશનલ બોર્ડરથી ફક્ત 30 કિમી દૂર હતો. બરનાલા અને સવાઈ નલ્લાના ઠેકાણાઓથી હથિયારો, ડ્રોન અને આઈઈડી ટ્રેનિંગ અપાતી હતી.
અસર- હાફિઝ સઈદનું નેટવર્ક સંપૂર્ણ રીતે વિખરાઈ ચૂક્યું છે. તેની પાસે નવા રંગરૂટોને તાલિમ આપવાની અને ભારત વિરોધી ગતિવિધિઓની યોજના બનાવવાનો આધાર ખતમ થઈ ગયો છે.
મસૂદ અઝહર (જૈશ એ મોહમ્મદ)
પુલવામા હુમલાનો ગુનેહગાર અને જૈશ એ મોહમ્મદનો ચીફ મસૂદ અઝરહર પણ ભારતના આ હુમલાથી ખુબ પ્રભાવિત થયો છે. જૈશના બહાવલપુર હેડક્વાર્ટર, સરજાલ, બિલાલ કેમ્પ અને કોટલી સ્થિત લોન્ચપેડને નિશાન બનાવીને તબાહ કરી નાખવામાં આવ્યા. બહાવલપુર જે જૈશનું સૌથી મોટું ઓપરેશનલ હબ હતું તે ઈન્ટરનેશનલ બોર્ડરથી 100 કિમી દૂર હતું જે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ચૂક્યું છે.
અસર- મીડિયા રિપોર્ટ મુજબ મૌલાના મસૂદ અઝહરની ભરતી અને ફિદાયીન હુમલાઓની યોજના ઠપ થઈ છે. જૈશની ક્ષમતામાં 70 ટકા જેટલો ઘટાડો આવ્યો છે.
સૈયદ સલાહુદ્દીન (હિજબુલ મુજાહીદ્દીન)
કાશ્મીરમાં આતંક ફેલાવનારા હિજબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાહુદ્દીન આ હુમલા બાદ સૌથી નબળી સ્થિતિમાં આવી ગયો છે. તેના કોટલી, મેહમૂના જોયા (સિયાલકોટ) અને રાહીલ શાહિદ કેમ્પ જેવા બેસ તબાહ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે હિજબુલના મોટાભાગા ઠેકાણા એલઓસીથી 10-15 કિમીના અંતરે હતા. જેનાથી સરહદપાર ઘૂસણખોરી સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.
અસર- સૈયદ સલાહુદ્દીન પાસે હવે ન તો ઘૂસણખોરી માટે સુરક્ષિત રસ્તા બચ્યા છે કે ન તો આતંકી ટ્રેનિંગ કેમ્પ્સ. મીડિયા રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનની કમર તૂટી ગઈ છે.
ઓપરેશન સિંદૂર ભારતની અત્યાર સુધીની સૌથી સટીક અને રણનીતિક એરસ્ટ્રાઈક ગણવામાં આવી રહી છે. તે ફક્ત સૈન્ય સફળતા જ નહીં પરંતુ કૂટનીતિક સંદેશ પણ છે કે ભારત હવે સરહદ પાર છૂપાયેલા દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવી શકે છે. મસૂદ અઝહર, હાફિઝ સઈદ અને સૈયદ સલાહુદ્દીન જેવા આતંકી આકાઓને એવો ફટકો પડ્યો છે કે તેની ભરપાઈ લાંબા સમય સુધી થઈ શકશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે