જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકી હુમલો પાકિસ્તાનના રાજનીતિક અને સૈન્ય અધિકારીઓનું ષડયંત્ર હતું. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં કઈક આવા સંકેત મળે છે. જો કે ભારત સરકારે તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. 22 એપ્રિલના રોજ થયેલા આ નરસંહારમાં 26 પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. જેના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલાનું ષડયંત્ર ISI અને આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ મળીને કર્યું હતું. એવા પણ સમાચાર છે કે તેના નિર્દેશ પાકિસ્તાનના રાજનીતિક અને સૈન્ય અધિકારીઓએ આપ્યા હતા. એ પણ સામે આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપવા માટે ખાસ કરીને પાકિસ્તાની આતંકીઓને સામેલ કરાયા હતા.
રિપોર્ટ મુજબ ISI એ લશ્કર એ તૈયબાના કમાન્ડર સાજિદ જટ્ટને જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત વિદેશી આતંકીઓ તૈનાત કરવાના નિર્દેશ આપ્યા હતા. ગોપનીયતા જાળવી રાખવા માટે કોઈ પણ કાશ્મીરી આતંકીને સામેલ કરાયો નહતો. આ હુમલાને અંજામ આપનારા સમૂહનું નેતૃત્વ સુલેમાન કરી રહ્યો હતો. એવી આશંકા છે કે તે પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સિસનો પૂર્વ કમાન્ડો છે. તે વર્ષ 2022માં જમ્મુમાં ઘૂસણખોરી કરતા પહેલા લશ્કરના મુરીદકે કેમ્પમાં ટ્રેનિંગ મેળવી ચૂક્યો છે.
સેટેલાઈટ ફોન એનાલિસિસના હવાલે રિપોર્ટમાં જણાવાયું છે કે સુલેમાનનું લોકેશન 15 એપ્રિલના રોજ ત્રાલમાં હતું. તેનાથી સંકેત મળે છે કે આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા તે બેસારન ઘાટીમાં હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે