Home> India
Advertisement
Prev
Next

Gold Loan: ગોલ્ડ લોન અંગેના નવા નિયમો...નાના અને સિમાંત ખેડૂતો માટે લાવશે મોટી મુશ્કેલી, જાણો વિગતો 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગોલ્ડ લોન અંગે નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમોથી નાના અને સીમાંત ખેડૂતો, નાના વેપારીઓ, ફેરિયાઓ વગેરેને મુશ્કેલી પડી શકે છે જાણો વિગતો. 

Gold Loan: ગોલ્ડ લોન અંગેના નવા નિયમો...નાના અને સિમાંત ખેડૂતો માટે લાવશે મોટી મુશ્કેલી, જાણો વિગતો 

જો તમારી પાસે સોનું હોય અને તમને અચાનક પૈસાની જરૂર પડે તો તેના માટે તમે ગોલ્ડ પર લોન લેતા હોવ છો. ભારતીય રિઝર્વ બેંક ગોલ્ડ લોન માટે નવા નિયમો બનાવ્યા છે અને બહુ જલદી આ નવા નિયમો અંગે જાહેરાત થઈ શકે છે. આ નવા સૂચિત નિયમો નાના અને સીમાંત ખેડૂતો તથા ગરીબો માટે એક મુશ્કેલી લઈને આવશે. જાણો વિગતો...

fallbacks

આરબીઆઈના નવા નિયમો મુજબ હવે 2.5 લાખ સુધીની ગોલ્ડ લોન પર LTV રેશિયો 85 ટકા હશે, જે પહેલા 75 ટકા હતો. LTV એટલે લોન ટુ વેલ્યુ. તેનો અર્થ એ થયો કે જો તમે એક લાખ રૂપિયા સુધીનું સોનું ગિરવે મૂકો તો હવે તમને તેના પર 85 હજાર રૂપિયા લોન મળી શકશે. પહેલા ફક્ત 75000 રૂપિયા જ મળતા હતા. આ સાથે જ  જો તમે 2.5 લાખ રૂપિયા સુધીનું સોનું ગિરવે મૂકો તો તમારે બેંકને આવકનો પુરાવો કે ક્રેડિટ સ્કોર આપવાની જરૂર નહીં પડે જેનાથી ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા પહેલા કરતા સરળ બનશે. તેનો ફાયદો ગ્રામીણ વિસ્તારના લોકો, ખેડૂતો અને નાના વેપારીઓને મળશે જે ઈમરજન્સી માટે ગોલ્ડ લોન પર નિર્ભર છે. 

ક્યાં આવશે મુશ્કેલી
આરબીઆઈના નિયમ મુજબ ગોલ્ડ લોન લેવા માટે એ વાતનો પુરાવો આપવો જરૂરી રહેશે કે સોનું તમારું છે. આ માટે તમારે ખરીદીની રસીદ દેખાડવી પડશે. કે પછી ડેક્લેરેશન આપવું પડશે કે સોનું તમારું જ છે. જો તમે આ સાબિત કરવામાં ચૂકી ગયા તો તમને સોના પર લોન મળશે નહીં. આ સાથે જ ગોલ્ડ લોનના ફિઝિકલ એસ્ટેસ પર મળશે. ફિઝિકલ એસેટ્સ એટલે કે દાગીના, સિક્કા, ગોલ્ડ બિસ્કિટ, વગેરે. ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF કે મ્યુચ્યુઅલ ફંડ પર લોન મળશે નહીં. 

બસ અહીં જ મુશ્કેલી શરૂ થાય છે કારણ કે નવા સૂચિત નિયમોના કારણે નાના અને સીમાંત ખેડૂતો તથા ગરીબોને ગમે ત્યારે નાણાની જરૂર પડે તો લોન મળી શકે નહીં. ખેડૂતો પાસે મોટાભાગે સોનાની ખરીદીના બિલ ન હોવાથી તેમની પાસે ડોક્યુમેન્ટ કે બિલ ભાગ્યે જ મળી શકે તેવી સ્થિતિ બને. જો તેમને આ રીતે લોન ન મળે તો સીધી અસર ખેતી પર થઈ શકે. 

શું છે હાલની પરિસ્થિતિ
અત્યારે ગોલ્ડ લોનનો સીનેરિયો જોઈએ તો કુલ ગોલ્ડ લોનમાંથી 47 ટકા લોન 30,000 રૂપિયાથી ઓછી રકમની ગોલ્ડ લોન છે. એમાં પણ 65 ટકા ગ્રાહકો પાસે આવકના પુરાવા હોતા નથી જેના કારણે તેઓ ગોલ્ડ લોન લેતા હોય છે. આ લોકો પાસે પે સ્લીપ હોતી નથી. એવી પણ સ્થિતિ હોતી નથી કે અન્ય બેંકો કે ધીરાણ સંસ્થાઓ પાસેથી લોન મળે જેના કારણે તેઓ ગોલ્ડ લોન લેવાનું પ્રીફર કરતા હોય છે. નાના નાના ફેરિયાઓ, સુથાર, દરજી, કે અન્ય નાના નાના વેપાર ધંધા કરતા લોકો, નાના કે સીમાંત ખેડૂતો આ પ્રકારની ગોલ્ડ લોન લેવાનું વધુ પસંદ  કરતા હોય છે. હવે આવા લોકો માટે સોનાની ખરીદીનું બિલ રજુ કરવું મુશ્કેલ હોય.  આવા નાના નાના કામધંધાવાળા પાસે જીએસટી રજિસ્ટ્રેશન કે આવકવેરા રિટર્નની કોપી પણ ન હોય. આથી તેઓના માટે તાબડતોબ પૈસા મેળવવા માટે એકમાત્ર સાધન ગોલ્ડ લોન હોય છે. 

આ રીતે કડક નિયમો જો રાખવામાં આવે તો ગોલ્ડ લોનની કામગીરી ખોરવાઈ શકે છે. અચાનક પૈસાની જરૂર પડે ત્યારે ગોલ્ડ લોન લઈને જરૂરિયાત પૂરી કરનારા આવા લોકો માટે ગોલ્ડ લોનના બારણા જાણે બંધ થઈ જશે. બીજુ એ પણ છે કે આ લોન નવી આવક ઊભી કરવા માટે કે પછી ઉપયોગ હેતુ લેવાની છે તે અંગેની સ્પષ્ટતા કરવી પણ મુશ્કેલ છે. 

અત્રે જણાવવાનું કે ખેતીકામ સહિત નાની મોટી જરૂરિયાતો માટે હાલ 2 લાખ રૂપિયા સુધીની લોન માટે સોના પર લોન આપવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતોનું જોઈએ તો આ રીતે જ સોના પર લોન લઈને કામ ચલાવતા હોય છે. જે લોકોની પોતાની જમીન નથી તેઓ ભાડે જમીન લઈને પોતાનું સોનું ગિરવે મૂકી પૈસા ભેગા કરી ખેતી કરતા હોય છે. આમ રિઝર્વ બેંકના નવા નિયમોને કારણે ખેતીના ક્ષેત્રે લોન લેનારાઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે. ગામડાઓમાં આ રીતે લોન લઈને કામકાજ હલાવતા લોકો માટે કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. ડેરી ઊદ્યોગ સાથે સંકળાયેલી પશુપાલકો, મરઘા ઉછેર કરનારાઓ પણ આ રીતે લોન લેતા હોય છે. ત્યારે તેમના માટે પણ મુશ્કેલી ઊભી થશે. 

હાલ ગોલ્ડ લોન માટે કેવાયસી પદ્ધતિ છે. પરંતુ રિઝર્વ બેંક હવે સોનાના બિલ અને અન્ય પુરાવાનો આગ્રહ કરી રહી છે. જેના કારણે ગોલ્ડ લોનની કામગીરી ધીમી પડી શકે. આ બધુ જોતા સોનાના મૂલ્ય પ્રમાણે લોન આપવાની વર્તમાન પદ્ધતિને જાળવી રાખવાની પણ ભલામણ કરવામાં આવી રહી છે. 

આ ઉપરાંત નવા નિયમોથી લોન લીધા બાદ વર્ષના અંત સુધીમાં લોન ચૂકવી દેવાનું જે લોકો મન બનાવતા હોય તેમને તો સોનાનું જે મૂલ્ય હોય તેના 55 ટકા જેટલી જ રકમ લોન તરીકે મળી શકશે. જેની અસર નાના અને સીમાંત ખેડૂતો પર પડી શકે કારણ કે ઊંચા મૂલ્યના સોના સામે માંડ 55 ટકા જેટલી લોન મળેને વધુ વ્યાજ ભરવું પડે. 

ગોલ્ડ લોનની લિમિટ
આરબીઆઈના નવા નિયમો મુજબ એક કિલો સોના અને 10 કિલો ચાંદીથી વધુ દાગીના ગિરવે મૂકી શકો નહીં. આ સાથે જો જો તમે સિક્કા ગિરવે મૂકો તો સોનાના 50 ગ્રામથી વધુ દાગીના ગિરવે મૂકી શકાશે નહીં. ચાંદીના સિક્કાઓ માટે આ લિમિટ 500 ગ્રામની છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ગ્રાહકોની લોન જે  દિવસે પૂરી થાય બેંકે તે જ દિવસે ઘરેણા પરત કરવા પડશે. જો તે દિવસે શક્ય ન હોય તો તેણે 7 દિવસની અંદર પાછા આપવાના રહેશે. 

ગોલ્ડ લોન અંગે આરબીઆઈના નવા નિયમો આગામી ફાઈનાન્શિયલ યર એટલે કે 1 એપ્રિલ 2026થી લાગૂ થશે. નવા નિયમોને લાગૂ કરવા માટે બેંકો અને NBFCs એ તૈયારી કરવાની રહેશે. આ તૈયારી માટે 10 મહિનાનો સમય અપાયો છે. અત્યાર સુધી અપાયેલી લોન અને માર્ચ 2026 સુધી અપાનારી ગોલ્ડ લોન પર જૂના નિયમો જ લાગૂ  થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More