નવી દિલ્હીઃ ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ આવવાનો છે, જ્યારે ભારતીય વાયુસેના અધિકારી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) ની યાત્રા કરશે. આ મિશન Axiom Mission 4 (Ax-4) હેઠળ મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે, જેમાં ચાર દેશોના 4 અવકાશયાત્રી સામેલ થશે. શુભાંશુ શુક્લા આ મિશન હેઠળ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશે અને 40 વર્ષ બાદ કોઈ ભારતીયનું અવકાશમાં જવાનું સપનું પૂર્ણ થશે. આ પહેલા 1984મા રાકેશ શર્મા સોવિયત સંઘના અંતરિક્ષ યાનથી યાત્રા કરી હતી.
Ax-4 મિશનમાં ભારત, પોલેન્ડ, હંગરી અને અમેરિકાના અંતરિક્ષ યાત્રી સામેલ થશે. આ મિશન હેઠળ શુભાંશુ શુક્લા મિશન પાયલટ તરીકે અંતરિક્ષમાં જશે. તેમની સાથે પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ મિશન નિષ્ણાતો તરીકે જોડાશે. અમેરિકન અવકાશયાત્રી પેગી વ્હીટસન આ મિશનના કમાન્ડર હશે. આ મિશન 14 દિવસ સુધી ચાલશે, જેમાં વૈજ્ઞાનિક સંશોધન અને તકનીકી પરીક્ષણો હાથ ધરવામાં આવશે.
ડ્રેગન કેપ્સૂલથી થશે લોન્ચ
શુભાંશુ શુક્લા અને તેમના સાથી અંતરિક્ષ યાત્રી સ્પેસએક્સની ડ્રેગન કેપ્સૂલથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરશે. આ લોન્ચ અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેડ દ્વારા કરવામાં આવશે. લોન્ચિંગની ચોક્કસ તારીખ નાસા અને Axiom Space દ્વારા અંતિમ મંજૂરી બાદ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 7.7 કરોડ EPFO સભ્યો માટે ખુશખબર, હવે ક્લેમ સેટલમેન્ટ બનશે સરળ, જાણો નવો નિયમ
શું છે Ax-4 મિશન?
Ax-4 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને તકનીકી પરીક્ષણો હાથ ધરવાનો છે. આ મિશન હેઠળ ઘણા મોટા કામો કરવામાં આવશે. ત્યાં તમામ વૈજ્ઞાનિકો માઇક્રોગ્રેવિટીમાં જૈવિક અને ભૌતિક વિજ્ઞાન સંબંધિત પ્રયોગો કરશે. આ સાથે ત્યાં ટેકનિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અવકાશની નવી ટેકનોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવામાં આવશે. આ મિશન હેઠળ પૃથ્વી પરના લોકોને અવકાશ વિજ્ઞાન અને સંશોધન વિશે માહિતગાર કરવામાં આવશે.
ચોથી પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટ
Axiom Space એક ખાનગી અમેરિકી અંતરિક્ષ કંપની છે, જે ભવિષ્યમાં એક વાણિજ્યિક સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે. Axiom એ અત્યાર સુધી ત્રણ અંતરિક્ષ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. એપ્રિલ 2022મા Axiom-1 મિશન લોન્ચ થયું હતું, જેમાં 17 દિવસનું અંતરિક્ષ મિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મે 2023મા Ax-2 મિશન અને જાન્યુઆરી 2024મા Ax-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે Ax-4 મિશન આ સિરીઝનો ચોથો તબક્કો છે, જેમાં ભારત સહિત ચાર દેશોના અંતરિક્ષ યાત્રી સામેલ થશે.
ભારત માટે મોટી સિદ્ધિ
શુભાંશુ શુક્લાનું આ મિશન ભારતના અવકાશ સંશોધન માટે એક મોટી છલાંગ સાબિત થશે. 40 વર્ષ બાદ એક ભારતીય અવકાશમાં જઈ રહ્યો છે, જેનાથી ન માત્ર દેશની વૈજ્ઞાનિક પ્રતિષ્ઠા વધશે પરંતુ ભવિષ્યમાં ગગનયાન મિશન અને અન્ય અવકાશ અભિયાનો માટે નવી સંભાવનાઓ પણ ખુલશે. આ મિશનથી ભારતને વૈશ્વિક સ્પેસ રિસર્ચ અને વાણિજ્યિક અંતરિક્ષ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે