ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારત દેશ અંગ્રેજ શાસનમાંથી આઝાદી મેળવીને લોકશાહીની દિશામાં હજુ પા-પા પગલી ભરી રહ્યો હતો અને તેની પ્રજાને દેશના નેતાઓને ચૂંટવાનો પ્રથમ અવસર આવી ગયો હતો. દેશની સરકારી વ્યવસ્થા પણ હજુ ગોઠવાઈ હતી. આટલો વિશાળ દેશ હતો અને સરકાર માટે પણ લોકસભા ચૂંટણીનું આયોજન કરવું એક મોટો પડકાર હતો.
અગાઉ એક પણ ચૂંટણી યોજાઈ ન હતી એટલે ભૂતકાળની ચૂંટણીના આયોજનનો સરકારને કે રાજકીય પક્ષોને કોઈ પણ પ્રકારનો અનુભવ ન હતો. સાથે જ સૌથી મોટો સવાલ 14 કરોડ 30 લાખની વસતીને મતદાન માટે ઘરમાંથી બહાર કાઢીને ચૂંટણી બૂથ સુધી ખેંચી લાવાનો હતો. એ સમયે પણ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી સહુથી મોટી ચૂંટણી હતી. એક અંદાજ મુજબ એ સમયે દેશની 85 ટકા વસતી વાંચી શકતી ન હતી અને લખી શકતી ન હતી.
એ સમયે રાજ્યોનો દરજ્જો
1951માં દેશની સ્થિતિ આજની સરખામણી તદ્દન ભિન્ન હતી. રાજકીય નકશો પણ કંઈક અલગ જ હતો. 'રાજ્યોની પુનઃરચના કાયદો-1956' પણ હજુ લાગુ થયો ન હતો. કેન્દ્રશાસિત પ્રદેશ પોડુચેરી ન હતો અને આંધ્ર અને બોમ્બે સ્ટેટ અસ્તિત્વમાં હતા. ભારતમાં બંધારણનો સ્વીકાર કરાયા બાદ રાજ્યોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા હતા.
પાર્ટ-Aના રાજ્યઃ આસામ, બિહાર, બોમ્બે, મધ્યપ્રદેશ, મદ્રાસ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ
પાર્ટ-Bના રાજ્યઃ હૈદરાબાદ, મધ્ય ભારત, મયસૂર, પી.ઈ.પી.એસ.યુ., રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર-કોચિન
પાર્ટ-Cના રાજ્યઃ અજમેર, ભોપાલ, બિલાસપુર, કૂર્ગ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કચ્છ, મણિપુર, ત્રિપુરા, વિંધ્યપ્રદેશ
લોકસભા ચૂંટણી 2019: જાણો દેશના કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે
બે સભ્યોનો સંસદીય વિસ્તાર
1951ની ચૂંટણીમાં એક સંસદીય મતવિસ્તારમાં બે ઉમેદવારની પ્રથા હતી. એટલે કે એસસી અને એસટી વર્ગના લોકોને પણ પ્રતિનિધિત્વ મળે તેના માટે રાજકીય પક્ષો દ્વારા બે ઉમેદવાર ઊભા રાખવામાં આવતા હતા. એક સામાન્ય અને એક એસસી/એસટી વર્ગનો.
53 રાજકીય પક્ષો
1951/52ની લોકસભા ચૂંટણીમાં 53 રાજકીય પક્ષો હતા. જોકે, એ સમયે એકમાત્ર પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને તેના કરિશ્માઈ નેતા જવાહર લાલ નેહરુ લોકોમાં સૌથી વધુ પ્રિય નેતા હતા. દેશને આઝાદી અપાવામાં મહત્વની ભૂમિકા ભજવનારા નેતા અને પાર્ટી પ્રત્યે લોકોમાં અતુટ વિશ્વાસ હતો. કુલ 53 રાજકીય પક્ષ અને એક અપક્ષે પ્રથમ લોકસભા ચૂંટણી લડી હતી.
પ્રથમ લોકસભા ચૂંટણી લડનારી પાર્ટીઓ
પ્રથમ લોકસભા ચૂંટણી વખતે ભારતની કુલ વસતી 36 કરોડની હતી. જેમાંથી 17 કરોડ 32 લાખને મતદાનનો અધિકાર હતો.
લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે
મેન પાવર હતો સૌથી મોટો પડકાર
પ્રથમ ચૂંટણી વખતે ચૂંટણી પંચ આજના જેટલું શક્તિશાળી ન હતું કે તેની આવું કોઈ વિસ્તૃત માળખું પણ ન હતું. પશ્ચિમ બંગાળના તત્કાલિકન ચીફ સેક્રેટરી સુકુમાર સેનને જવાહર લાલ નેહરુ દ્વારા ચૂંટણી કમિશનર બનાવાયા હતા. તેમની સામે સૌથી મોટી સમસ્યા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનો હતો. કેમ કે દેશભરના 2,24,000 મતદાન મથક પર કામ કરવા માટે 56,000 પ્રિસાઈડિંગ અધિકારકીની જરૂર હતી. આ ઉપરાંત, મતપત્રકો તૈયાર કરવા માટે 16,500 ક્લાર્કની જરૂર હતી. સાથે જ લાખોની સંખ્યામાં મદદગાર અને સુરક્ષા કર્મચારીની પણ જરૂર હતી.
બીજી સૌથી મોટી સમસ્યા લોકોને મત આપવા માટે ખેંચી કેવી રીતે લાવવા. શા માટે મતદાન કરવું, કેવી રીતે મતદાન કરવું, કોને મત આપવો, મત આખરે શું છે વગેરે અનેક સમસ્યાઓ તંત્ર સામે મોં ફાડીને ઊભી હતી.
આવી પડકારજનક સ્થિતિમાં પણ ચૂંટણી કમિશનર અને તેમની ટીમે સમગ્ર દેશનો પ્રવાસ ખેડ્યો અને મતદારોનો ડાટા એક્ઠો કરીને એક મતદાર યાદી તૈયાર કરી. નિરક્ષર મતદારોની સમસ્યા સમજીને ચૂંટણી પ્રતિકો બનાવવાનું નક્કી કરાયું, જે પ્રથા આજે પણ અમલમાં છે. લોકોને કહેવાયું કે તેમણે તેમને પસંદગીના મતદારના નામની માત્ર એક ચિઠ્ઠી જ બોક્સમાં નાખવાની છે. આ સાથે જ એક વ્યક્તિ બે વખત મત ન નાખે તેના માટે મતદારના હાથમાં ભૂંસી શકાય નહીં એવી સ્યાહી લગાવાનો નિર્ણય લેવાયો. પ્રથમ લોકસભા ચૂંટણીમાં શરૂ કરાયેલી આ બીજી પ્રથા આજે પણ અમલમાં છે.
આમ, અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ દેશની પ્રથમ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ હતી. જોકે, પ્રથમ લોકસભા ચૂંટણીમાં જ દેશને ચૂંટણી પ્રક્રિયા માટે કેટલીક પદ્ધતિઓ મળી ગઈ જે આજે પણ અમલમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે