Ahmedabad Plane Crash: 12 જૂન 2025નો દિવસ ભારતના ઈતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાઈ ગયો. ભારતમાં અત્યાર સુધીમાં થયેલા સૌથી ભયનાક અકસ્માતે સમગ્ર દુનિયાને હચમચાવી દીધુ. ગુજરાતના અમદાવાદના એરપોર્ટથી લંડનના ગેટવિક જવા માટે નીકળેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર વિમાન ટેકઓફની ગણતરીની પળો બાદ મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. આ વિમાનમાં 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને 2 પાઈલોટ સહિત કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ જીવિત બચ્યો અને બાકીના 241 લોકોના દર્દનાક મોત થયા. અકસ્માત બાદ જ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. દરેક પોત પોતાની રીતે અકસ્માતના કારણો દર્શાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માત પાછળ શું કારણ હતું તે અંગે હજુ કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. એક્સપર્ટ આ મામલે શું કહે છે તે પણ ખાસ જાણો.
એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયું ક્રેશ? વિમાન અને પાઈલોટ અનુભવી હતા
એર ઈન્ડિયાના પ્લેન અકસ્માતમાં મોટાભાગના લોકોએ શરૂઆતમાં એન્જિન ફેઈલ થવાની આશંકા જતાવી હતી. કેટલાક લોકોએ અનેક સવાલ ઊભા કર્યા જેમ કે શું બંને એન્જિન એક સાથે ફેલ થયા, શું જેટ ફ્યૂલમાં કોઈ ખરાબી હતી, શું ટેક ઓફ માટે જરૂરી ફ્લેપ્સ યોગ્ય સ્થિતિમાં નહતા કે પછી કોઈ પક્ષી અથડાવવાથી એન્જિનમાં ખરાબી આવી? આ તમામ સંભાવનાઓ તપાસના દાયરામાં છે.
કંટ્રોલ સિસ્ટમમાં કમી?
પરંતુ વિમાનન વિશેષજ્ઞો આ મામલે અલગ મત ધરાવે છે. એવિએશન એક્સપર્ટ વિપુલ સક્સેનાએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું કે વિમાનના કંટ્રોલ સિસ્ટમમાં કોઈ મોટી ખરાબી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ એક ખુબ સારું વિમાન હતું અને પાઈલોટ પણ અનુભવી હતા. મને નથી લાગતું કે બંને એન્જિન એક સાથે ફેલ થયા હશે. પાઈલોટની ભૂલની સંભાવના પણ ઓછી છે.
સીનિયર પાઈલોટોએ શું જણાવી સચ્ચાઈ
જ્યારે ત્રણ સીનિયર પાઈલોટોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અકસ્માતના વીડિયો જોઈને એવું લાગે છે કે વિમાનના બંને એન્જિનોએ ટેકઓફ માટે જરૂરી થ્રસ્ટ (જોર) નથી આપ્યું. એક કમાન્ડરે કહ્યું કે, વિમાન સ્થિર દેખાઈ રહ્યું હતું, જે એક એન્જિન ફેલ થવા પર થતું નથી. કદાચ બંને એન્જિનમાં થ્રસ્ટની કમી હતી. બીજુ અનુમાન છે કે પક્ષી ટકરાવવાથી (બર્ડ સ્ટ્રાઈક) એન્જિનમાં આગ લાગી હોય. કેટલાક વિશેષજ્ઞોએ એમ પણ કહ્યું કે ટેકઓફ દરમિયાન ફ્લેપ્સ ઉપર રહ્યા હોય કે લેન્ડિંગ ગિયર નીચે રહ્યું હોય. જેનાથી વિમાનને હવામાં ઉઠવા માટે લિફ્ટ ન મળી.
કેટલાકે વિમાનનું વજન વધુ હોવાની આશંકા જતાવી પરંતુ પાઈલોટ્સે તેમને ફગાવતા કહ્યું કે જો આમ હોત તો વિમાન ટેકઓફ કરી શકત નહીં. લાંબી ઉડાણ માટે ભરવામાં આવેલા ભારે ઈંધણે વિસ્ફોટને વધુ ભયાનક બનાવી દીધુ.
કન્ફ્યુગરેશન એરર બની કારણ?
કેટલાક લોકો એવી અટકળ કરે છે કે કન્ફ્યુગરેશન એરરના કારણે આ દર્દનાક અકસ્માત થયો. મીડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ વિમાન ઉડાવતી વખતે કોઈ પણ પાઈલોટ માટે ટેકઓફ સૌથી મુશ્કેલ કામ હોય છે. ટેકઓફ દરમિયાન એક નાનકડી ટેક્નિકલ ખામી કે ઓપરેશન સંબંધિત કોઈ નાનકડી ભૂલ કન્ફ્યુગરેશન એરર ગણાય છે. અમદાવાદ વિમાન અકસ્માત પાછળ પણ કન્ફ્યૂગરેશન એરરને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. ટેકઓફ વખતે પ્લેનના ફ્લેપ્સ, થ્રસ્ટ, રોટેશન (નિર્ધારિત સમય પર ટેકઓફ) અને લેન્ડિંગ ગિયર ઉઠાવવા જેવી ચીજોને મેનેજ કરવું ખુબ જરૂરી હોય છે. આવામાં જો પાઈલોટ ફ્લેપ્સનું સેટિંગ ખોટું કરે, ઓછું થ્રસ્ટ અને સમય પહેલા ટેકઓફ (રોટેશન) કે લેન્ડિંગ ગિયર ન ઉઠાવવા જેવી ભૂલો કન્ફ્યૂગરેશન એરરમાં ગણાય છે. જેનાથી આ ભયાનક અકસ્માત થઈ શકે છે.
વીડિયોમાં જોવા મળ્યુ લેન્ડિંગ ગિયર
ક્રેશ વિમાનના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન લેન્ડિંગ ગિયર નીચે છે. જે ટેકઓફના સમયે ઉપર થઈ જવા જોઈતા હતા. GE GEnx એન્જિન સૌથી ભરોસાપાત્ર એન્જિન ગણાય છે. એક સાથે વિમાનમાં લાગેલા બંને એન્જિનું ફેલ થવું ખુબ રેર છે. એવી અટકળો છે કે અમદાવાદ વિમાન અકસ્માતનું કારણ પાઈલોટની બેદરકારી (કન્ફ્યુગરેશન એરર) હોઈ શકે છે.
તપાસમાં શું સામે આવશે
વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. બ્લેક બોક્સ એટલે કે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરના વિશ્લેષણથી સટીક કારણ જાણવા મળશે. હજુ સુધી કોઈ અધિકૃત કારણ સામે આવ્યું નથી. એર ઈન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર કહ્યું કે અમે અકસ્માતની તપાસ કરી રહ્યા છીએ અને જલદી વધુ જાણકારી શેર કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે