Home> India
Advertisement
Prev
Next

અચાનક કચ્છમાં ઘૂસી ગયું હતું પાકિસ્તાની વિમાન, અને પછી ભારતીય વાયુસેનાએ જે હાલત કરી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રક્ષામંત્રી રાજનાથ આજે ભુજ એરબેઝ પર વાયુસેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે પહોંચ્યા છે. ત્યારે કારગિલ યુદ્ધ બાદનો આ બનાવ ખાસ જાણો. કારગિલ યુદ્ધના એક મહિના બાદ પાકિસ્તાનનું એક વિમાન ભારતના કચ્છમાં ઘૂસી ગયું હતું. 

અચાનક કચ્છમાં ઘૂસી ગયું હતું પાકિસ્તાની વિમાન, અને પછી ભારતીય વાયુસેનાએ જે હાલત કરી

26 વર્ષ પહેલાની આ વાત છે જ્યારે 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. તે સમયે ભારતીય વાયુસેનાનું મિગ-21 પ્રમુખ ફાઈટર જેટ્સમાંથી એક હતું. કારગિલ યુદ્ધના એક મહિના બાદ જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એટલાન્ટિક વિમાનને તોડી પાડ્યું હતું જે ભારતીય હદમાં ઘૂસી ગયું હતું. મિગ 21 1964માં ભારતીય વાયુસેનામાં સામેલ થનારું પહેલું સુપરસોનિક ફાઈટર વિમાન બની ગયું હતું. પોતાની સેવા દરમિયાન મિગ-21એ દુશ્મનોથી પેદા થતા જોખમો વિરુદ્ધ પોતાની મારક ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. એવું કહેવાય છે કે ભારતે 1960ના દાયકાથી અત્યાર સુધીમાં 800થી વધુ મિગ 21 વિમાનો ખરીદ્યા છે. આ કહાની એટલા માટે યાદ કરીએ છીએ કે હાલમાં જ પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ મોટી કાર્યવાહી કરી જેમાં પાકિસ્તાનની ભારે ફજેતી થઈ. 

fallbacks

ભુજ સહિત ભારતના અનેક ઠેકાણાઓ પર નજર
હાલમાં જ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહીમાં 9-10 મેની રાતે લગભગ 15 જેટલી બ્રહ્મોસ મિસાઈલો અને અન્ય સટીક  હથિયારોનો ઉપયોગ કર્યો. બ્રહ્મોસ મિસાઈલોએ પાકિસ્તાનના એરબેઝને ટાર્ગેટ કર્યા. ભારતીય વાયુસેનાના આ ઓપરેશનમાં પાકિસ્તાનના મુખ્ય 13 એરબેઝમાંથી 11ને નુકસાન પહોંચ્યું. જેનાથી દેશના વાયુરક્ષા નેટવર્ક અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો. વાત જાણે એમ છે કે આ હુમલો પાકિસ્તાનના 7-8 મેની રાતે ડ્રોન અને મિસાઈલોથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાના પ્રયાસ બાદ કરાયા. ટાર્ગેટ કરાયેલા ક્ષેત્રોમાં શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા અને ભુજ સામેલ હતા. જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાને જડબાતોડ જવાબ આપ્યો. 

ભારતનું ઓપરેશન વ્હાઈટ
કારગિલ યુદ્ધ ટાણે મે 1999માં ભારતીય વાયુસેનાએ પોતાનું ઓપરેશન વ્હાઈટ શરૂ કર્યું હતું અને તરત જ પાકિસ્તાની ઠેકાણાઓ પર હુમલા કરવા અને ભારતીય સેનાને મદદ કરવા માટે પોતાના મિગ 21 બીઆઈએસ ટી-75 અને મિગ 21 ટી-96 ને તૈનાત કર્યા હતા. આ વિમાનોએ ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની સૈન્ય દળો વિરુદ્ધ ખૂબ ઊંચાઈ પર રોકેટ અને બોમ્બ હુમલા કર્યા અને યુદ્ધક્ષેત્ર પર એસ્કોર્ટ અને ફાઈટર હવાઈ પેટ્રોલિંગ  (CAP) મિશન ચલાવ્યા. અંતે આ સંઘર્ષ જુલાઈ 1999માં પૂરો થયો. 

યુદ્ધના એક મહિના બાદ પાકિસ્તાની વિમાન ભારતમાં ઘૂસ્યું
એક મહિનાથી પણ ઓછા સમય બાદ પાકિસ્તાન દ્વારા સંચાલિત એટલાન્ટિક વિમાન (જેને ફ્લાઈટ એટલાન્ટિક-91) કહે છે તે ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગયું. આ વિમાન પાકિસ્તાની નેવી શાખાનું એક લાંબા અંતરનું સમુદ્રી પેટ્રોલિંગ વિમાન હતું. જે એન્ટી સબમરીન ઓપરેશન અને ગ્રાઉન્ડ એટેક મિશન ચલાવવામાં સક્ષમ હતું. જેના માટે તે હવાથી જમીન પર માર કરનારી મિસાઈલો લઈ જતું હતું. ભારતીય વાયુસેના ઈસ્લામાબાદ અને તેની સેનાની કોઈ પણ ગેરકાયદેસર ગતિવિધિ પ્રત્યે સતર્ક હતી. 

શું થયું હતું તે દિવસે
10 ઓગસ્ટ 199ના રોજ સવારે બરાબર 10:51 વાગે ભારતીય વાયુસેનાના ગ્રાઉન્ડ રડારે પાકિસ્તાનના સિંધ પ્રાંતની પાસે બદીન પાસે એક ખાસ ફ્લાઈટ રૂટ પર વિમાન જોયું. બદીન ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક છે. આ વિમાન ધીરે ધીરે ભારત-પાકિસ્તાન સરહદ તરફ આગળ વધી રહ્યું હતું. તેનો માર્ગ દક્ષિણ-પૂર્વ દિશામાં હતો. ભારતીય વાયુસેનાના ગ્રાઉન્ડ રડાર સેન્સરે વિમાન પર નજર રાખી કારણ કે તે સરહદ ક્ષેત્ર પાસે પહોંચ્યું.

કચ્છમાં ઘૂસી ગયું વિમાન
ત્યારબાદ જે થયું તેણે પાકિસ્તાની પેટ્રોલિંગ વિમાનનું ભાગ્ય પલટી નાખ્યું. એટલાન્ટિક 91એ ભારતીય એરસ્પેસનો ભંગ કર્યો અને ગુજરાતના કચ્છમાં પ્રવેશ કર્યો. એરસ્પેસમાં ઘૂસણખોરી કરીને ભારત પાકિસ્તાન વચ્ચે 1991ના હવાઈ સમજૂતિનો ભંગ કર્યો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે બંને દેશોના તમામ વિમાનો (હેલિકોપ્ટર બાદ કરતા)એ સરહદથી ઓછામાં ઓછી 10 કિમીનું અંતર જાળવવું જોઈએ. 

ભારતે તોડી પાડ્યું વિમાન
જવાબમાં ભારતીય વાયુસેનાએ કચ્છના નલિયા એરબેસથી પોતાનું મિગ-21 વિમાન ઉડાવ્યું. તે સમયે વિમાન સવારે  10:59 વાગે હવામાં હતું. પાકિસ્તાની નેવીનું Br1150 એટલાન્ટિક વિમાનને મિગ-21 એ 10 ઓગસ્ટ 1999ના રોજ તોડી પાડ્યું. તેમાંથી એક જેટને સ્ક્વોડ્રન લીડર પ્રશાંત બુંદેલા ઉડાવી રહ્યા હતા. ભારતીય વાયુસેનાના પાઈલટ ઘૂસણખોર વિમાન પાસે જઈને વિમાનની ઓળખની પુષ્ટિ કરવા માટે તેની ખુબ નજીક વિમાન લઈ ગયા. ઘૂસણખોર વિમાનની ઓળખ ફ્રેન્ચ બનાવટના એટલાન્ટિક તરીકે થઈ. જેના પર પાકિસ્તાની નેવીનું ચિન્હ લગાવેલું હતું. 

બુંદેલાએ આપી હતી ચેતવણી
ગ્રાઉન્ડ કંટ્રોલના દિશાનિર્દેશ મુજબ સ્ક્વોડ્રન લીડર બુંદેલાએ પાકિસ્તાની નેવીના વિમાન સાથે ઉડાણ ભરી અને તેના પાઈલોટ્સને નિર્દેશ આપ્યો કે તેઓ તેને પીછો કરે અને તરત ઉતરી જાય. જો કે એટલાન્ટિક 91એ આદેશોને ધ્યાનમાં ન લીધા અને કથિત રીતે સ્ક્વોડ્રન લીડર બુંદેલાના મિગ-21ની તરફ વળતા ધમકી ભર્યા યુદ્ધાભ્યાસ કર્યા. 

એટલાન્ટિક 91એ સંધિનો ભંગ કરતા ભારતીય એરસ્પેસનો ભંગ કર્યો હતો આથી તેને દુશ્મની નિભાવતું વિમાન ગણી લેવાયું. ભારતીય વાયુસેનાના વારંવાર આદેશો વિરુદ્ધ કામ કરવાના કારણે તેમના વિરુદ્ધ એક્શન લેવાયું. આવામાં એટલાન્ટિક 91 પાસે કોઈ પણ અન્ય ઘૂસણખોર વિમાનની જેમ બે વિકલ્પ હતા- એક તો નિર્દેશોનું પાલન કરે અને ઉતરી જાય નહીં તો તોડી પાડે એ જોખમ ઉઠાવે. જો કે વિમાને નિર્દેશોનું પાલન ન કરતા ઉડાણ ભરીને પાકિસ્તાની એરસ્પેસ તરફ ભાગવાનો વિકલ્પ પસંદ કર્યો. 

બુંદેલાને મળ્યો સંદેશ
ત્યારે સ્ક્વોડ્રન લીડર બુંદેલાને સંદેશો મળ્યો અને તેમણે એટલાન્ટિક 91 પર R-60 એર ટુ એર મિસાઈલ છોડી. આ વખતે દુશ્મનનું વિમાન આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 5 કિમી દૂર હતું. મિસાઈલ વિમાનના એન્જિન સાથે અથડાઈ અને ગણતરીની પળોમાં આગ લાગી. તોડી પડાયા બાદ એટલાન્ટિકનો  કાટમાળ કોરી ક્રીક ક્ષેત્ર ઉપર એક ઢાળ પર પડ્યો. કાટમાળના કેટલાક ભાગ પાકિસ્તાની વિસ્તારમાં લગભગ 5 કિમી અંદર પડ્યા હતા. જહાજ પર સવાર તમામ 16 પાકિસ્તાની કર્મીઓ માર્યા ગયા હતા. 

બાદમાં પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે વિમાન પેટ્રોલિંગ પર હતું. એવો તર્ક પણ આપ્યો કે તેમાં બધા હથિયાર વગરના હતા. જો કે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક તાલિમ મિશનની નીકટતા પર સવાલ ઉઠાવતા જવાબ આપ્યો અને જણાવ્યું કે દરેક દેશ સામાન્ય રીતે પોતાના ક્ષેત્રની અંદર નિર્ધારિત તાલિમ ગતિવિધિઓ કરે છે. પાકિસ્તાન બાદમાં 21 સપ્ટેમ્બર 1999ના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જેમાં લગભઘ 60 મિલિયન અમેરિકી ડોલરનો ક્લેમ ઠોક્યો. જો કે ભારતે એ આધાર પર કેસ ફગાવ્યો કે કોર્ટ પાસે અધિકાર ક્ષેત્ર નથી. ત્યારબાદ કોર્ટે જૂન 2000માં એક નિર્ણયમાં તેને સ્વીકારી લીધુ. આ નિર્ણય પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો. 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More