બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારબાદ સતત અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે કે આખરે કર્ણાટકની કમાન કોને મળશે. આવો તમને જણાવીએ આખરે કોણ છે જે સીએમની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.
આ નામ સૌથી આગળ
યેદિયુરપ્પાના રાજીનામાની જાહેરાત બાદ કર્ણાટકના ખાણ અને ભૂવિજ્ઞાન મંત્રી મુરૂગેશ આર નિરાની મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 56 વર્ષીય આ નેતાએ રવિવારે દિલ્હી પહોંચી પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી બને તેવી ચર્ચા ચાલી રહી છે. ત્રીજી વખત ધારાસભ્ય બનેલા નિરાની લિંગાયત સમુદાયથી આવે છે અને આ સમુદાયનું રાજ્યની રાજનીતિમાં મોટુ વર્ચસ્વ છે. યેદિયુરપ્પા પણ આ સમુદાયથી આવે છે.
યેદિયુરપ્પાની પ્રથમ પસંદ છે આ નેતા
મીડિયા રિપોર્ટ પ્રમાણે કર્ણાટકના 61 વર્ષીય ગૃહ મંત્રી બસવરાજ એસ બોમ્મઈ તેમના ઉત્તરાધિકારીના રૂપમાં યેદિયુરપ્પાની પ્રથમ પસંદ છે. મેમાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ મિઝોરમની સાથે સરહદ વિવાદે લીધું હિંસક રૂપ, અસમ પોલીસના 6 જવાનોના મોત
આ યુવાને મળી શકે છે પ્રદેશની કમાન
જે રીતે ભાજપે ઉત્તરાખંડની કમાન એક યુવા નેતાને સોંપવામાં આવી શકે છે. આ યુવા નેતાનું નામ અરવિંદ બેલાડ છે. બેલાડ એક યુવા છે અને રાજકીય પરિવારથી આવે છે. તેઓ ભાજપના અનુભવી નેતા ચંદ્રકાન્ત બેલાડના પુત્ર છે. તેઓ હુબલી-ધારવાડ પશ્ચિમથી ધારાસભ્ય છે.
બીએલ સંતોષ અને પ્રહ્લાદ જોશીનું નામ
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી 58 વર્ષીય પ્રહ્લાદ જોશીને પણ કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા છે. તેઓ ધારવાડથી ચાર વખત સાંસદ રહ્યા છે. જો તે મુખ્યમંત્રી બને છે તો જોશી 1988 બાદ કર્ણાટકના પ્રથમ બ્રાહ્મણ મુખ્યમંત્રી બની જશે. તો બીએલ સંતોષ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે. તેમનું નામ પણ રેસમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે