Ambalal Ni Agahi : 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમા પ્રવેશ બાદ ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે નવો ધડાકો કહેતા જણાવ્યું કે, ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ આવશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડ્યો. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો. આણંદના પેટલાદમાં પોણા 4 ઈંચ, વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ રહ્યો. તો ગુજરાતના 23 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો.
અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરતા કહ્યું કે, 22 જૂને સૂર્ય સવારે આદ્રા નક્ષત્ર પ્રવેશ કરશે. આદ્રા નક્ષણનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. 21, 22, 23 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. આદ્રા નક્ષત્ર બેસ્યા બાદ 2-3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 24થી 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે. તેથી લો લાઈન વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો સાબરાકાંઠા, પંચમહાલમાં પણ છૂટોછવાયા ભારે વરસાદની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે, તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે. જેના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ. સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.