Ambalal Ni Agahi ; આજે ગુજરાતના 53 તાલુકામાં થઈ મેઘમહેર... સૌથી વધુ જામનગરના જોડિયામાં 1.61 ઈંચ વરસાદ...આજથી 28 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની આગાહી...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજે 20 જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 21 થી 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
અંબાલાલે કહ્યુ કે, ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં હોવાથી 22 જુલાઈથી 28 સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વરસાદી પાણી કૃષિ માટે સારું રહેશે. 25 થી 27 જુલાઈ આસપાસ શુક્ર વાયુ વાહક નક્ષત્રમાં હોવાથી ભારે પવનની ગતિ સાથે વરસાદ પડશે. આ સમયે પશુપાલકો, નીચાણવાળા ભાગમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી.
3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા વરસાદી જોર વધશે. 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આ વરસાદથી જમીનનો ભેજ સાચવતા ભાલ જેવા સૂકા વિસ્તારમાં ઘઉંનો પાક લેવો સારો તેવું હવામાન નિષ્ણાતનું કહેવું છે.