Basant Panchami 2025: વસંત પંચમીનો તહેવાર વિદ્યાના દેવી માં સરસ્વતીને સમર્પિત છે. નાના બાળકોના અભ્યાસની શરૂઆત માટે, માંગલિક કાર્યોની ખરીદી માટે વસંત પંચમીનો દિવસ શુભ મનાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી કઈ તારીખે ઉજવાશે અને માં સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી તે અંગે તમને પણ કન્ફ્યુઝન હોય તો ચાલો તમને બધી જ માહિતી આપીએ.
પંચાંગ અનુસાર મહા મહિનાની પંચમી એટલે કે વસંત પંચમીની તિથિ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 9:14 મિનિટથી શરૂ થશે. જેનું સમાપન 3 ફેબ્રુઆરીએ સવારે 6.52 મિનિટ પર થશે. તેથી આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવાશે.
આ વર્ષે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ વસંત પંચમીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 7.09 મિનિટથી શરૂ થશે. જે બપોરે 12:35 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરી શકાય છે.
આ વર્ષે વસંત પંચમીના દિવસે બે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વસંત પંચમી એ શિવ અને સિદ્ધિ યોગનો સંયોગ બનશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં હશે અને અભિજીત મુહૂર્ત 12.13 મિનિટથી શરૂ થશે જે 12.56 મિનિટ સુધી રહેશે. વસંત પંચમીનો અમૃતકાળ રાત્રે 20.24 થી લઈને 21.53 સુધી રહેશે
સરસ્વતી પૂજા માટે માં સરસ્વતીની તસવીર, ગણેશજીની મૂર્તિ, બાજોટ, પીળા વસ્ત્ર, પીળા ફૂલની માળા, સોપારી, કંકુ, ચોખા, પાન, અગરબત્તી, ગાયના ઘીનો દીવો અને ભોગ માટે ખીર અથવા ચણાના લોટના લાડુની જરૂર પડશે.
વસંત પંચમીની પૂજા કરવા માટે સૌથી પહેલા બાજોટ પર પીળું વસ્ત્ર પાથરી તેના પર ભગવાન ગણેશ અને સરસ્વતીની સ્થાપના કરો. ગણપતિજી અને માં સરસ્વતીની કંકુ, ચોખા સહિતની સામગ્રીથી પૂજા કરો. માતા સરસ્વતી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને અન્ય સામગ્રીઓ ધરાવવો. માતાજીને ભોગ ધરાવીને સરસ્વતી મંત્રનો જાપ કરી આરતી કરો. આરતી કર્યા પછી માતાજીનો પ્રસાદ પરિવારના લોકોને ખવડાવો અને પોતે પણ ગ્રહણ કરો.