Gir Forest : ભાવનગરના પાલિતાણામાં સિંહ પરિવારના અદભૂત દ્રશ્યો આવ્યા સામે.. એક જગ્યા પર એકસાથે દેખાયા 19 સિંહ.... વન ...
કહેવત છે કે સિંહના ક્યારેય ટોળા ના હોય, પરંતુ એ કહેવત માત્ર શૂરવીરો માટે છે. ભાવનગર જિલ્લાના પાલિતાનામાં એક સાથે 19 સિંહ સભ્યનો પરિવાર જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદિક મુંજાવરને આ ગ્રૂપ જોવા મળ્યું હતું. ડીસીએફ સાદિક મુંજાવર ગઈકાલે પાલિતાણા વન્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં ગયા હતા. જે દરમ્યાન તેઓને 19 સભ્યો સાથેનો સિંહ પરિવાર જોવા મળ્યો હતો.
ભાવનગર જિલ્લામાં રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 19 સભ્યો સાથેના આ શાહી સિંહ પરિવારની સિંહ વસ્તી ગણતરી દરમ્યાન ભાવનગરની ટીમે નોંધ લીધી છે.
આ તસવીર બતાવે છે કે, ભાવનગર જિલ્લાને સિંહ માટે મહત્ત્વપૂર્ણ અને અનુકૂળ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે. હજી થોડા દિવસ પહેલા જ 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. જે 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કર્યો હતો. ત્યારે આ એ જ સિંહ પરિવાર છે કે નહિ તે ચોક્કસ કહી ન શકાય.
ગુજરાત સરકારે એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે '16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.