How To Store Wheat For Year: દર વર્ષે મોટાભાગના ઘરોમાં ઘઉં સહિતના અનાજ એકસાથે ખરીદી અને તેને બરાબર તડકો ખવડાવી વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે. અનાજને એક વર્ષ માટે સ્ટોર કરવાના હોવાથી તેની સફાઈમાં અને તેને સાચવવામાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ તો ઘઉં, ચોખા સહિતના અનાજમાં ધનેડા ન થાય તે વાતનું ધ્યાન રાખવું પડે છે.
અનાજને સ્ટોર કરતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ મુકી દેવામાં આવે તો અનાજ આખું વર્ષ ખરાબ થતું નથી. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘઉં સહિતના અનાજની સાથે રાખી દેવાથી તેમાં આખું વર્ષ ધનેડા પડતા નથી.
ઘઉંને આખા વર્ષ માટે સ્ટોર કરતા પહેલા સારી રીતે સાફ કરવા જરૂરી છે. ઘઉંમાંથી બધો જ કચરો અને ધુળ નીકળી જાય એ રીતે તેને સાફ કરી, તડકામાં સુકવી અને પછી સ્ટોર કરવા જોઈએ.
લીમડાના પાન નેચરલ કીટનાશક છે. ઘઉંના ડબ્બામાં ઉપર લીમડના પાન રાખવા જોઈએ. લીમડાની ગંધથી ઘઉંમાં ધનેડા નથી પડતા. દર થોડા થોડા સમયે લીમડાના પાન બદલતા રહેવા.
લસણની ગંધ પણ તીવ્ર હોય છે. લસણની કળીને ફોતરા સાથે જ અલગ અલગ કરી ઘઉંની ઉપર રાખવાથી પણ અનાજમાં જીવાત થતી નથી. લસણ સુકાઈ જાય એટલે તેને બદલી દેવું.
આ ઉપાય વિચિત્ર લાગશે પરંતુ ઘઉંમાંથી ધનેડા ભગાડવા અને ધનેડાને દુર રાખવા માટે ઘઉંની ઉપર એક કાગળ પાથરી તેના પર દિવાસળી રાખી શકાય છે. દિવાસળીમાં સલ્ફર હોય છે જે જીવજંતુઓને દુર રાખે છે.