Interest Rate: PPF પર સરકાર દ્વારા હાલમાં 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ એક સરકારી બેન્ક તેનાથી પણ વધારે ...
રોકાણની સાથે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના રોકાણ પર વધુમાં વધુ રિટર્ન મળે અને સુરક્ષિત પણ રહે. આજકાલ લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઝડપથી રોકાણ કરી રહ્યા છે. પરંતુ રોકાણકારોને હંમેશા ચેતવણી આપવામાં આવે છે કે, શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. ઘણા લોકોને એવા રોકાણો પણ ગમે છે જેમાં તેમના રૂપિયા પર ભલે ઓછા રિટર્ન મળે, પરંતુ તેમાં જોખમ લગભગ નહીવત હોય છે. આ પ્રકારના રોકાણને PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર અને બેન્ક FD વગેરે ગણવામાં આવે છે. તાજેતરમાં જ્યારે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે વિવિધ બેન્કોએ FD પર આપવામાં આવતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો.
પરંતુ આ દરમિયાન એક સરકારી બેન્ક એવી છે જે સૌથી વધુ વ્યાજ આપી રહી છે. ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રોકાણ માટે એક બેસ્ટ વિકલ્પ છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે FDમાં રોકાણ ક્યારેય ડૂબતું નથી અને ચોક્કસ સમય પછી તમને તમારી સંપૂર્ણ રકમ વ્યાજ સાથે પાછી મળે છે. આ મહિનાના પહેલા અઠવાડિયામાં RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી ઘણી સરકારી બેન્કોએ તાજેતરના સમયમાં FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. સરકારી બેન્કોમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
બેન્ક દ્વારા 366 દિવસની FD પર 7.15 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બેન્ક એક વર્ષની FD પર 6.25 ટકા, ત્રણ વર્ષ માટે 6.3 ટકા અને 5 વર્ષ માટે 6.25 ટકા વ્યાજ આપી રહી છે. અગાઉ બેન્ક ઓફ મહારાષ્ટ્ર 366 દિવસની FD પર 7.45 ટકા વ્યાજ આપી રહી હતી. આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક 444 દિવસની FD પર 7.10 ટકા વ્યાજ દર આપી રહી છે. જ્યારે બેન્ક એક વર્ષની FD પર 6.70 ટકા, ત્રણ વર્ષની FD પર 6.30 ટકા અને પાંચ વર્ષની FD પર 6.30 ટકા વ્યાજ આપી રહી છે.
પંજાબ અને સિંધ બેન્ક 444 દિવસની FD પર 7.05 ટકા, એક વર્ષની FD પર 6.10 ટકા, ત્રણ વર્ષની FD પર 6.00 ટકા અને પાંચ વર્ષની FD પર 6.35 ટકા વ્યાજ આપી રહી છે. બેન્ક ઓફ ઈન્ડિયા 999 દિવસની ગ્રીન FD પર 7.00 ટકા વ્યાજ દર આપી રહી છે. જ્યારે એક વર્ષની FD પર 6.50 ટકા, બે વર્ષની FD પર 6.25 ટકા અને પાંચ વર્ષની FD પર 6.00 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા બે વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી મુદતની FD પર 7 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત બેન્ક 1111 દિવસ, 2222 દિવસ અને 3333 દિવસની FD પર ૭ ટકા વ્યાજ આપી રહી છે. જ્યારે બેન્ક એક વર્ષની FD પર 6.70 ટકા, ત્રણ વર્ષની FD પર 6.75 ટકા અને પાંચ વર્ષની FD પર 6.50 ટકા વ્યાજ આપી રહી છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFએ સરકારની બેસ્ટ બચત યોજના છે. તે લાંબા ગાળાના રોકાણ અને ટેક્સ સેવિંગ માટે બનાવવામાં આવી છે. આ યોજના સુરક્ષિત અને આકર્ષક વળતર આપે છે. PPF ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેન્કમાં ખોલી શકાય છે. આમાં એક વર્ષની અંદર ઓછામાં ઓછા 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવી શકાય છે. PPFમાં રોકાણનો સમયગાળો 15 વર્ષ છે, જેને 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. આ સ્કીમ પર મળતા વ્યાજની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે, જે કરમુક્ત છે. હાલમાં PPF પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ જમા રકમ, વ્યાજ અને ઉપાડ પર કર મુક્તિ ઉપલબ્ધ છે.