Banaskantah Heavy Rain : બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ:દાંતીવાડામાં સવા 6 ઇંચ, પાલનપુરમાં 4 ઇંચ વરસાદ, આબુ -અમદાવાદ હાઇવે પર ઢીંચણ સમા પાણી, વાહન ચાલકો અટવાયા
ધોધમાર વરસાદથી પાલનપુર શહેરના રોડ-રસ્તા અને સોસાયટીઓમાં જળબંબાકાર થયા છે. નેશનલ હાઈવે પર પણ પાણીનું સામ્રાજ્ય છવાયું છે. તો સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠાના ડીસામાં પણ ભારે વરસાદથી નીચણાવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક સોસાયટીઓ સરોવર બની છે. વણઝારા વાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરીને નુકસાન થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ,પાલનપુર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો પાલનપુર -આબુરોડ નેશનલ હાઇવે ઉપર બિહારી બાગ નજીક કેડસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે મુખ્ય હાઇવે ઉપર જ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અનેક ગાડીઓ તેમજ નાના વાહનો પાણીની અંદર ખોટવાઈને બંધ પડી જતા તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે
તો અનેક એક્ટિવા અને બાઇકો ખોટવાઈ રહેતા તેમને મહામુસીબતે બહાર કઢાઈ રહી છે. નેશનલ હાઇવે ઉપર જ પાણી ભરાઈ જતા મોટા ટ્રક અને વાહન ચાલકો ધીરેધીરે પોતાના વાહનો પાણી માંથી પસાર કરી રહ્યા છે તો હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે પાલનપુર પંથકમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના કિર્તીસ્થંભ, જુના બસ સ્ટેન્ડ, મફતપુરા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ,સીવીલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશ માર્ગ અને ટ્રોમાં સેન્ટર આગળ પાણી ભરાઈ જતા સિવિલ આવતા દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે ,દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓ પાણી માંથી ચાલવા મજબૂર બન્યા છે .સામાન્ય વરસાદમાં જ સીવીલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જતું હોવાથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
મોડી રાત્રે થી શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા છે. નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.