2025: ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાના મતે વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને મોટી ભૂલ કરી છે. સુરેશ...
ભારતના પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાના મતે વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને મોટી ભૂલ કરી છે. સુરેશ રૈનાએ આ ટિપ્પણી રાજસ્થાન રોયલ્સ સામે ગુરુવારે વિરાટ કોહલીની 42 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ બાદ કરી હતી. IPL 2025માં અત્યાર સુધી વિરાટ કોહલીએ 9 મેચમાં 65.33ની શાનદાર સરેરાશથી 392 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વર્તમાન IPL સીઝનમાં અત્યાર સુધીમાં 5 અડધી સદી ફટકારી છે. IPL 2025માં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 73 રન અણનમ છે.
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. સુરેશ રૈનાએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, 'મને હજુ પણ લાગે છે કે વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વહેલા નિવૃત્તિ લઈ લીધી છે, તે હાલમાં જે લયમાં રમી રહ્યો છે અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તે જે લયમાં હતો તેના આધારે, તે 2026ના T20 વર્લ્ડ કપ સુધી રમી શક્યો હોત. તેણે જે રીતે પોતાની ફિટનેસ જાળવી રાખી છે, તેને જોઈને લાગે છે કે તે હજુ પણ પોતાની પીક પર છે.'
36 વર્ષીય વિરાટ કોહલીએ ભારત માટે 125 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 48.69ની સરેરાશથી 4188 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને 38 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 1292 રન બનાવ્યા છે, જેમાં 15 અડધી સદીનો સમાવેશ થાય છે.
ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ રમાશે. ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2026માં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માની ખોટ જોવા મળશે.
નોંધનીય છે કે, IPL 2025માં વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ આ IPL સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ જીતી છે અને તેના 12 પોઈન્ટ છે. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા જીતવામાં આવેલી મેચોમાં વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 59 અણનમ, 31, 67, 62 અણનમ, 73 અણનમ અને 70 રનનું યોગદાન આપ્યું છે.