આજથી દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. શાસ્ત્રોક્ત મંત્રો સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. લોકો ઘરમાં, ઓફિસમાં તેમજ પંડાલોમાં ઢોલ નગારા વગાડી આનંદ ઉલ્લાસ સાથે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. એક દિવસથી લઈને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવશે. દસ દિવસ દરમિયાન અનેક સોસાયટીઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બાળકોના ડાન્સ તેમજ સંગીત, ગરબા સહિતના કાર્યક્રમોનુ આયોજન થશે. શેરીઓમાં અલગ અલગ થીમ સાથે ગણેશજી જોવા મળશે. ક્યાંક ચંદ્રયાનની થીમ, તો ક્યાંક ફિલ્મની થીમ પર ગણેશજી, તો ક્યાંક બાળ ગણેશ પણ જોવા મળશે.
વડોદરાભરમાં ગણેશોત્સવ ઉજવાય છે. વડોદરામાં ગણશોત્સવની ખાસ પરંપરા હોય છે. જેમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિનું ખાસ મહત્વ હોય છે. રાજવી પરિવારમાં આજે સવારે શાહી સવારીથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પેલેસમાં ગણેશજીની પ્રતિમા ખંડિત થઈ હતી. વડોદરામાં ગણેશની શાહી સવારી નીકળી હતી. પાલખીમાં શહેનાઈના વાદે શ્રીજીની મૂર્તિ લાવવામાં આવી હતી.
પાટણમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ગજાનન ભક્ત મંડળી દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં 142 વર્ષથી ગણેશ સ્થાપના કરાય છે. 142 વર્ષ થી પાટણના ગજાનન ભક્ત મંડળી દ્વારા કાળી માટીથી એક જ માપની મૂર્તિ બનાવવામાં આવે છે. વર્ષો પહેલા પાટણ નગરીમાં રહેતાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી.
જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની સ્પર્ધા ‘ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) આરોગવાની સ્પર્ધા’ યોજાઈ હતી. જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા આ આયોજિત આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી 31 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગણપતિ બાપાને અતિ પ્રિય મોદક એવા લાડુની સ્પર્ધામાં બાળકોથી માંડી મહિલા- વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ લાડુ ખાધા હતા.
મહેસાણામાં ગાયકવાડી શાસન સમયે ગણપતિ મંદિર નબાવાવમાં આવ્યું હતું, ત્યારથી અહીં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આજે પણ આ પ્રથા સચવાયેલી છે. મહેસાણા શહેરના ફુવારા સ્થિત આવેલા સિદ્ધી વિનાયક મંદિર ખાતે સવારે ભગવાન ગજાનનને પરંપરાગત રીતે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેહસાણા શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ પૂજા બાદ શહેરના રાજમાર્ગો પર ગજાનનની શાહી સવારી નીકળી હતી.
સુરતમા વિવિધ પંડાલોંમા 70 હજારથી વધુ નાની મોટી ગણેશ મુર્તિઓનુ આજે પ્રસ્થાપિત કરવામા આવશે. સુરતના દાળિયા શેરીના ગણેશ ભકતો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. આ શોભાયાત્રામા હાથી, ધોડા, બગી તથા ઢોલ નગારા જોડાયા હતા. વાજતે ગાજતે ભગવાન ગણેશનું સ્વાગત કરી વિવિધ શેરીઓમા ફેરવવામા આવ્યા હતા. આ શેરીના મંડળની મૂર્તિની ખાસિયત એ છે કે ભગવાન ગણેશને ચઢાવવામા આવેલ હાર આખેઆખો ડાયમંડનો છે. આ ઉપરાત ભગવાનના પગની પાદુકા સોનામાંથી તૈયાર કરવામાં આવી છે. મંગલમુર્તિ પણ આખેઆખી ડાયમંડમાંથી તૈયાર કરવામા આવી છે. જ્યારે કે અન્ય મંગલમુર્તિને હાર તેમજ મુગટ સોનામાંથી તૈયાર કરવામા આવ્યા છે. અંદાજિત 10 લાખથી વધુની કિમતના આભૂષણો ભગવાન ગણેશને ચઢાવવામાં આવ્યા છે.