Padma Awards 2025 શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર પાસે સહયોગનગર ઉભું કરનાર સુરેશ સોનીને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સહયોગ નગર વસાહત ઉભી કરનાર સુરેશ સોની મુળ વડોદરાના શિનોર ગામના વતની છે અને તેઓ ૧૯૮૮ થી અહીં કૃષ્ઠ રોગીઓની સેવા કરવા માટે વસાહત ઉભી કરી વસી રહ્યા છે.
મૂળ વડોદરાના અને સાબરકાંઠાનું ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં જ સાબરકાંઠા અને વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ સુરેશ સોનીએ વધાર્યું છે. સુરેશ સોની 80 વર્ષની વય ધરાવે છે અને પાંચ દાયકાથી તેઓ કૃષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. તેઓએ કૃષ્ઠ રોગીઓની સેવા માટે હિંમતનગરમા રાજેન્દ્રનગર પાસે સહયોગ વસાહત સ્થાપી હતી. ૩૭ એકરમાં ફેલાયેલા વિસ્તારને આજે લોકો મીની ઈન્ડિયા તરીકે ઓળખે છે.
ભારતના તમામ રાજ્યના લોકો અહીં હવે કાયમી વસવાટ કરે છે. જેઓ કૃષ્ઠ રોગીઓ અને મંદબુદ્ધી તથા અનાથના રૂપે અહીં આશ્રય મેળવી હવે સહયોગ પરિવારના કાયમી સભ્ય બન્યા છે. આવા ૧૦૫૪ દર્દીઓ અને તેમના પરિવારજનો કાયમી વસાવાટરુપે અહિં વસી રહ્યા છે. સુરેશ સોની અને તેમના પરિવારજનો પણ તેમના આ સેવાયજ્ઞના સહભાગી થઈને સેવા કરી રહ્યા છે.
સુરેશ સોની છેલ્લા 36 વર્ષથી સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સહયોગ ગામ હાલમાં સેંકડો લોકોનું ઘર બની ગયું છે જ્યાં ચૂંટણી કેન્દ્ર, સ્કૂલ, માર્કેટ જેવી સુવિધા છે. જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર સુરેશ સોનીએ પોતાનું આખું જીવન કુષ્ટરોગીઓની સેવા અને જરૂરિયાતમંદો માટે સમર્પિત કરી દીધું છે. તેમના પત્ની ઈન્દિરાબેન સોની અને દીકરી પારુલ સોની પણ આ સેવાકાર્યમાં જોડાયેલા છે. કુષ્ટરોગીઓ માટેનો સમાજનો દષ્ટિકોણ બદલવામાં સુરેશ સોનીનું મોટું યોગદાન રહ્યું છે.
સાબરકાંઠાનાં સામાજિક કાર્યકર સુરેશ સોનીને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ જાહેર કર્યો છે. સુરેશ સોનીને આ સન્માન કૃષ્ઠ રોગીઓની સારવાર, મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, એચઆઇવીવાળા અને અનાથ લોકોની સેવા બદલ આપવામાં આવી રહ્યું છે. સુરેશ સોની સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક છેલ્લા 36 વર્ષથી 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા ચલાવે છે. આ સાથે સહયોગ નામથી એક આખું ગામ પણ વસાવ્યું છે, જ્યાં કુષ્ઠ રોગથી પીડાતા લોકોની સારવાર કરવામાં આવે છે. આ સાથે મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, એચઆઇવીવાળા અને અનાથ લોકોને આશ્રય આપી સેવા કરવામાં આવે છે.