How To Remove Kankhajura From Ear: ચોમાસામાં કાનખજૂરા સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ તો કાનખજૂરા આ ઋતુમાં વધારે પ્રમાણમાં નીકળે છે. કાનખજૂરો જો કાનમાં ઘુસી જાય અને કરડે તો કાનમાં બળતરા, સોજો, દુખાવો અને ઘણીવાર સાંભળવામાં કાયમી સમસ્યા થઈ શકે છે.
કાનમાં કાનખજૂરો ઘુસી જાય તો અચાનક કાન દુખવા લાગે છે, કાનમાં સળવળાટ થાય છે, કાન ભારે લાગવા લાગે છે, કાન પાસે સોજો આવી શકે છે, ઘણા લોકોને એક કાને સાંભળવામાં તકલીફ થાય છે. જો કાનમાં કાનખજૂરો કરડે તો કાનમાંથી લોહી કે તરલ પદાર્થ નીકળવા લાગે છે.
કાનમાં કાનખજૂરો કે કોઈપણ જંતુ ઘુસી જાય તો તેને બહાર કાઢવા માટે ઈયરબડ્સ, સોઈ, ચીપીયો કે અન્ય કોઈપણ વસ્તુ કાનમાં ઘુસાડવી નહીં. તેનાથી જંતુ વધારે અંદર જતું રહેશે અને કાનમાં કરડી પણ શકે છે.જો ક્યારે આવી દુર્ઘટના બને તો ડરવાને બદલે શાંતિ રાખવી અને એક જગ્યાએ બેસવું. કાનને ખંજવાળવો નહીં. કાન નીચેની તરફ રહે તે રીતે માથું ઝુકાવી બેસો અને માથું સતત હલાવતા રહો. આમ કરવાથી કાનખજૂરો ગુરુત્વાકર્ષણના કારણે જાતે બહાર આવી શકે છે.
જો આ રીતે કાનખજૂરો બહાર ન આવે તો થોડું સરસવનું તેલ ગરમ કરો અને પછી તેને થોડું ઠંડુ થવા દો. તેલ હુંફાળુ ગરમ હોય ત્યારે તેલના ટીપા કાનમાં નાખો. તેલ નાખવા માટે સીરીંજનો ઉપયોગ કરવો. જેથી તેલ અંદર સુધી જાય. તેલના કારણે જંતુ કે કાનખજૂરો કાનમાં ઉપર સુધી આવી શકે છે. પછી તેને બહાર કાઢી શકો છો.
કાનમાંથી કાનખજૂરો કે જીવાત કાઢવા માટે હુંફાળા પાણીનો યુઝ પણ કરી શકો છો. સીરીન્જ કે પીચકારીમાં હુંફાળુ પાણી ભરી કાનને ઉપરની તરફ રાખી કાનમાં પાણી નાખો અને ત્યારબાદ કાનને નીચે કરી પાણી કાઢી નાખો. 1 થી 2 વાર આમ કરવાથી કાનમાંથી જંતુ પાણી સાથે નીકળી શકે છે.
જો આ ઉપાય કર્યા પછી જંતુ ન નીકળે તો તુરંત ડોક્ટર પાસે પહોંચી જવું. જો જંતુ ઘરે નીકળી પણ જાય તો પણ એકવાર ડોક્ટર પાસે જઈ કાનનું ચેકઅપ કરાવી લેવું જેથી કાનની અંદર સોજો કે અન્ય સમસ્યા થઈ હોય તો તેની સારવાર તુરંત કરી શકાય.