લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ ₹448 લાખ કરોડથી ઘટીને લગભગ ₹445 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને ટ્...
Market Crash Reason: સોમવારે શરૂઆતના કારોબારમાં નબળા વૈશ્વિક સંકેતો અને વ્યાપક વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 81,488 ની નીચી સપાટીએ પહોંચ્યો જ્યારે નિફ્ટી 50 પણ 24,850 ની નીચે સરકી ગયો. સેન્સેક્સ 82,408.17 ના પાછલા બંધ સામે 81,704.07 પર નબળો ખુલ્યો અને 1% થી વધુ ઘટીને 81,488.54 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો. નિફ્ટી 50 પણ 25,112.40 ના પાછલા બંધ સામે 24,939.75 પર ખુલ્યો અને 1% થી વધુ ઘટીને 24,834.55 ના નીચા સ્તરે પહોંચ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ લગભગ 1% નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.
રોકાણકારોને ઝટકો: ₹3 લાખ કરોડનું નુકસાન: BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ ₹448 લાખ કરોડથી ઘટીને લગભગ ₹445 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે ફક્ત ટ્રેડિંગના પ્રથમ 15 મિનિટમાં જ રોકાણકારોને લગભગ ₹3 લાખ કરોડનું નુકસાન થયું છે.
બજારમાં ઘટાડા માટેના મુખ્ય કારણોની વાત કરીએ તો પહેલા નંબર પર ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાનો હસ્તક્ષેપ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા તણાવમાં થયેલા વધારાથી બજારના મૂડ પર ખરાબ અસર પડી છે. આનાથી એ આશા પર પાણી ફરી વળ્યું છે કે આ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ લાંબો સમય ચાલશે નહીં. શનિવારે, અમેરિકાએ ઈરાન પર અચાનક હુમલો કર્યો અને તેના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા, જેના કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, "ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના બોમ્બમારાથી પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની છે, તેમ છતાં બજાર પર તેની અસર મર્યાદિત રહેવાની શક્યતા છે. હવે અનિશ્ચિતતાનું મુખ્ય પરિબળ ઈરાની પ્રતિક્રિયાનો સમય અને સ્વરૂપ છે. જો ઈરાન આ ક્ષેત્રમાં અમેરિકાની સંરક્ષણ સુવિધાઓને નિશાન બનાવે છે અથવા અમેરિકન લશ્કરી કર્મચારીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે, તો અમેરિકાનો પ્રતિભાવ મોટો હોઈ શકે છે, અને આ કટોકટીને વધુ ખરાબ કરી શકે છે.
2. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપે છે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની શક્યતા શોધી રહ્યા છે. તે વિશ્વ માટે એક મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ છે. બ્લૂમબર્ગ અનુસાર, વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ દરરોજ આ માર્ગમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ક્રૂડ ઓઇલનો પુરવઠો ગંભીર રીતે વિક્ષેપિત થશે, તેલના ભાવ આસમાને પહોંચશે અને ભારત જેવા મુખ્ય તેલ આયાતકાર દેશોની અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન થશે.
3. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો: નિષ્ણાતો માને છે કે ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી $80 પ્રતિ બેરલથી ઉપર રહેવાથી ભારતના નાણાકીય ગણિત માટે નકારાત્મક પરિણામ આવશે, જેનાથી તેની વેપાર ખાધ વધુ ખરાબ થશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરી શકે છે, રૂપિયો નબળો પડી શકે છે, કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો કરી શકે છે અને તેમના નફા પર દબાણ લાવી શકે છે.
4. તેલ અને રૂપિયા પર અસર: શનિવારે અમેરિકા દ્વારા ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપની વધતી ચિંતા વચ્ચે સોમવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 2% થી વધુ વધ્યા અને પ્રતિ બેરલ $79 ની નજીક પહોંચી ગયા. તે જ સમયે, સોમવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 17 પૈસા ઘટીને 86.72 પ્રતિ ડોલર થયો.
રોકાણકારોએ શું કરવું જોઈએ: બજારની આ અસ્થિરતા વચ્ચે, નિષ્ણાતો રોકાણકારોને સાવચેત રહેવા અને ગભરાટમાં વેચાણને બદલે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. તેલના વધતા ભાવને કારણે, તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના શેર પર દબાણ છે. આગામી દિવસોમાં ઈરાનના પ્રતિભાવ અને વૈશ્વિક તેલ બજારની પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.
Disclaimer: ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.