બારોટ/જુનાગઢ : જૂનાગઢ જિલ્લાનું નાનકડું ગામ – બંધડા. અહીંના યુવા ખેડૂત જતીન સોલંકી આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં પ્રેરણાનું પાત...
જતીને એમ.એસસી. અને બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધી જામનગરની એક ખાનગી કંપનીમાં સારી નોકરી કરી. પરંતુ તેમના મનમાં ખેતીની નિષ્ઠા હતી. વર્ષ ૨૦૧૭થી તેમણે પ્રાકૃતિક ખેતીનો આરંભ કર્યો અને છેલ્લે વર્ષ ૨૦૨૨થી થાણાપીપળી ગામ પાસે “મધુવંતી ફાર્મ” ખાતે મશરૂમની વ્યવસાયિક ખેતી શરૂ કરી.
મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે. તેમાં યોગ્ય તાપમાન, ભેજ અને સ્વચ્છતા જાળવવી પડતી હોય છે. આ સિવાય વેચાણનું પણ ચોક્કસ માર્કેટ ન હોવાથી ખેડૂત માટે મોટો પડકાર રહે છે. છતાં, જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર જતીનભાઈએ આ ખેતી સફળતાપૂર્વક ઊભી કરી છે. તેઓના ફાર્મમાં આજે કુલ ૫૪૦૦ બેગમાં ઓઈસ્ટર, સેજાર કાજુ, બ્લુ ઓઈસ્ટર, હ્વાઈટ ઓઈસ્ટર જેવી જુદી-જુદી જાતોનું ઉત્પાદન થાય છે. એક બેગમાંથી સરેરાશ ૩.૫ કિલોગ્રામ મશરૂમ નીપજતો હોય છે
જતીનભાઈએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે પશ્ચિમ બંગાળ, ઓડીસા જેવા રાજ્યોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે ICAR દ્વારા ત્રણ મહિના ની તાલીમ તેમજ સુરત સ્થિત KVKમાંથી પણ વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. સરકારી સહાય યોજનાઓનો પણ પૂરો લાભ લીધો હતો. બાગાયત વિભાગના સહયોગથી સ્પોન, શેડ તથા કમ્પોસ્ટ યુનિટ માટે સહાય મેળવી તેઓએ વ્યવસાયને ટેકો આપ્યો
હાલમાં જતીનભાઈ તેમના ઉત્પાદિત મશરૂમ યુકે અને કેનેડામાં સીધી નિકાસ કરે છે. આ નિકાસ માટે તેમણે વૈજ્ઞાનિક રીતે પેકિંગ, હાઇજીનિક ટ્રીટમેન્ટ અને કસ્ટમ કેર સુવિધાઓ ઉભી કરી છે. ફાર્મિંગ સાથે માર્કેટિંગનું પણ સુઘડ આયોજન તેમને વ્યવસાયમાં વધુ સફળ બનાવી રહ્યું છે
મશરૂમ શરીર માટે અનેક રીતે લાભદાયક છે. તેમાં ૯૦ ટકા જેટલું શાકાહારી પ્રોટીન હોય છે. મશરૂમમાં વિટામિન D3, કે, B12 વગેરે વિટામિન્સ પણ ભરપૂર હોય છે. તે શાકાહારી લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. ભારતમાં હાલ ૧૦ પ્રકારના મશરૂમનું ચલણ છે જેમાં ઓઈસ્ટર મશરૂમ ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય છે
જતીનભાઈ માને છે કે, “ભારત કૃષિપ્રધાન દેશ છે. તો યુવાનોએ કૃષિ ક્ષેત્રમાં સફળતાની અપાર તકો શોધવી જોઈએ. ખંત, અભ્યાસ, તાલીમ અને ધીરજ થકી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. સરકાર તરફથી ઉપલબ્ધ સહાયનો યોગ્ય ઉપયોગ પણ જરૂરી છે.”