Sakkarteti Ni Kheti બુરહાન પઠાણ/આણંદ : આણંદનાં કરમસદના ખેડુત છેલ્લા બે વર્ષથી રોકડીયા પાક તરીકે શક્કરટેટીની ખેતી કરીને સીજનમાં અઢી ટન શક્કરટેટીનું ઉત્પાદન મેળવી 10 થી 12 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
કરમસદનાં જશવંતસિંહ રાઠોડની સંદેશર ગામની સીમમાં અરડી રોડ પર જમીન આવેલી છે,જેમાં અગાઉ તેઓ ધઉ ડાંગર બાજરી જેવી પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ બે વર્ષ પૂર્વે એક કંપનીમાં ફરજ બજાવતા ,તેઓનાં મિત્રએ તેઓને શક્કરટેટીની ખેતી કરવાની સલાહ આપી હતી. મિત્રની સલાહ અનુસાર જશવંતસિંહ રાઠોડએ પોતાની પાંચ વીધા જમીન પર શકરટેટીની ખેતીનો પ્રારંભ કર્યો હતો. આધુનિક ટપક પધ્ધતિ સિંચાઈથી તેઓએ શકરટેટીની ખેતી કરી અને પ્રથમ વર્ષે જ તેઓને 2500 કિલો જેટલી શક્કરટેટીનું ઉત્પાદન મળ્યું જેમાંથી તેઓને દસથી બાર લાખની આવક થઈ હતી.
જશવંતસિંહ રાઠોડ પોતાની પાંચ વિધા જમીનમાં ડિસેમ્બરથી જાન્યુઆરીમાં શકરટેટીનું બિયારણ લાવી વાવેતર કરે છે. અને ટપક સિંચાઈ પદ્ધિતીથી પાકને નિયમિત પાણી તેમજ ખાતર આપ્યા બાદ 75થી 80 દિવસમાં શકરટેટીનો પાક તૈયાર થઈ જાય છે, ખેડુત જશવંતસિંહનું કહેવું છે કે, ટપક સિંચાઈ પધ્ધતિથી પાણી આપવાનાં કારણે શકરટેટીનાં વેલાને માફકસરનું પાણી મળે છે, જેથી વેલા કહોવાતા નથી. તેમજ બીનજરૂરી નીંદામણ નહી થવાનાં કારણે વેલાનો સારો વિકાસ થાય છે. જેનાથી સારૂ ઉત્પાદન મળે છે. તેમજ શક્કરટેટી માત્ર 75થી 80 દિવસમાં તૈયાર થઈ જતી હોય છે. અને રોકડીયો પાક હોવાનાં કારણે ખેડુતોને પાકનાં પૈસા રોકડા મળી જાય છે.
જશવંતસિંહ રાઠોડએ ગત વર્ષે પાંચ વિધા જમીનમાં મૃદુલા જાતની શક્કરટેટીનો પાક લીધો હતો અને જેનાંથી અઢી ટનથી વધુ ઉત્પાદન મળતા સિજનમાં દસથી બાર લાખની આવક થઈ હતી, અને આ વર્ષે પણ સારૂ ઉત્પાદન થતા દસ લાખથી વધુની આવક થશે.
શક્કરરટેટીનો પાક 75 થી 90 દિવસમાં પૂર્ણ થઈ જતો હોય છે, જેથી તેઓ પોતાની પાંચ વિધા જમીનમાં બાકીની સીઝનમાં કોળા અને કાકડીની ખેતી કરે છે,અને તેમાંથી સારૂ ઉત્પાદન મળતા સારી આવક પ્રાપ્ત થાય છે.