Jaggery Purity: જો તમે સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખાંડ છોડી ગોળનો ઉપયોગ કરો છો અને ખુશ રહો છો તો વધારે હરખાવાની જરૂર નથી. શક્ય છે કે તમે જે ગોળને અસલી સમજો છો તે ગોળ નકલી પણ હોય શકે. જો કે સારી વાત એ છે કે ગોળ અસલી છે કે નકલી તમે જાતે ચેક કરી શકો છો. આ કામ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ.
ગોળ સ્વાસ્થ્યને લાભ કરે છે તે વાત 100 ટકા સાચી છે. પણ નકલી ગોળ તબિયતને તહસનહસ પણ કરી શકે છે. તેથી ગોળની શુદ્ધતા ચકાસવી જરૂરી થઈ જાય છે. નકલી ગોળમાં સસ્તી ખાંડ અને કેમિકલ્સનો ઉપયોગ થયો હોય છે જે ખાંડ કરતાં વધારે ખરાબ હોય છે.
અસલી ગોળનો રંગ બ્રાઉન હોય છે. મિલાવટી ગોળ લાઈટ બ્રાઉન કે પીળો હોય છે. ગોળમાં સોડા અને અન્ય કેમિકલ મિક્સ કરવામાં આવે છે જેના કારણે તેનો રંગ બદલી જાય છે.
કાંચના એક ગ્લાસમાં પાણી ભરો. તેમાં ગોળના ટુકડા ઉમેરો. 30 થી 40 મિનિટ પછી જો ગોળ પાણીમાં ઓગળી જાય તો સમજી લેવું કે તે શુદ્ધ છે. મિલાવટી ગોળની કણીઓ પાણીમાં દેખાશે.
જે ગોળ અસલી હોય છે તેને ગરમ કરો એટલે તે ધીરેધીરે ચાસણી બને છે. નકલી ગોળ ઝડપથી ઓગળી જાય છે અને પાતળી ચાસણી બને છે.
ગોળ ખરીદતા પહેલા થોડો ચાખી લેવો જોઈએ. અસલી ગોળ એકદમ મીઠો અને સુગંધિત હોય છે. જ્યારે નકલી ગોળ થોડો ખાટો લાગે છે.