tonic Shifts: યુનાઇટેડ કિંગડમના નોર્થ વેલ્સમાં આવેલી બેંગોર યુનિવર્સિટીના સમુદ્રશાસ્ત્રી મેથિયાસ ગ્રીન અને તેમની ટીમ દ્વારા આ ...
પૃથ્વીનો ભૂગર્ભ વિકાસ ધીમી અને સતત ચાલતી પ્રક્રિયા છે. આમાં ટેક્ટોનિક હલનચલન લાખો અને કરોડો વર્ષોમાં મોટા ફેરફારોનું કારણ બને છે. કહેવાય છે કે, જે વસ્તુની શરૂઆત થાય છે, તેનો એક દિવસ અંત પણ હોય છે. આપણી પૃથ્વીની સાથે પણ આ વાત લાગુ પડે છે. હાલમાં જ થયેલ એક સ્ટડીમાં પૃથ્વી આજથી કરોડો વર્ષો પછી કેવી દેખાશે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
યુનાઇટેડ કિંગડમના નોર્થ વેલ્સમાં આવેલી બેંગોર યુનિવર્સિટીના સમુદ્રશાસ્ત્રી મેથિયાસ ગ્રીન અને તેમની ટીમ દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં આ સ્ટડી પ્રકાશિત થઈ છે. પૃથ્વીની ભરતી-ઓટ ઊર્જા એટલે કે Tidal Energy પર થયેલ આ સ્ટડી ટેક્ટોનિક ગતિવિધિ અને તેના સમુદ્રી ભરતી-ઓટની શક્તિ વચ્ચેના સંબંધ પર નવો પ્રકાશ પાડે છે. સ્ટડી અનુસાર જેમ-જેમ ટેક્ટોનિક પ્લેટો બદલે છે અને સમુદ્રના તટપ્રદેશોમાં નવો આકાર આપે છે. તેમ-તેમ તેમના દ્વારા ઉત્પન્ન થતી ભરતી બેસિનના આકારના આધારે વધુ મજબૂત અથવા નબળી બની શકે છે.
રિસર્ચ સ્ટડી મુજબ લગભગ 200 મિલિયન વર્ષ પહેલાં ટેક્ટોનિક હલનચલન અને એક નવા સુપરકોન્ટિનેન્ટની રચનાને કારણે સુપરકોન્ટિનેન્ટ પેંજિયા તૂટી ગયો. આનાથી મહાદ્વીપ અસ્તિત્વમાં આવ્યા. જો કે, પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો હજુ પણ ગતિમાં છે. વૈજ્ઞાનિકો માને છે કે, પ્લેટોના પ્રવાહ અને બદલાવને કારણે આગામી સુપરકોન્ટિનેન્ટ બનવાની શક્યતા છે.
પ્લેટ ટેક્ટોનિક્સ પર થયેલ સ્ટડીમાં આ સ્પષ્ટ થઈ ગયું છે કે, જેમ-જેમ મહાદ્વીપ એક-બીજા અથડાય છે અને ખસે છે, તેમ-તેમ પૃથ્વીનું ભૂગોળ સતત બદલાતું રહે છે. સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી 100 મિલિયન વર્ષોમાં આગામી સુપરકોન્ટિનેન્ટનો ઉદભવ થશે. આનાથી જમીન અને સમુદ્ર બન્ને તટપ્રદેશો આકાર બદલાશે.
આ પરિવર્તન મહાદ્વીપને ફરીથી એકસાથે લાવશે, જેનાથી ફરી એકવાર એક વિશાળ ભૂમિ સમૂહ બનશે. જેમ કે, પેંજિયાએ કર્યું હતું. આની અસર પૃથ્વીના ઇકોસિસ્ટમ પર પડી શકે છે. આ પ્રક્રિયામાં માત્ર લેન્ડમાસ એટલે કે જમીનનું ડિસ્ટ્રિબ્યૂશન જ બદલશે નહીં, પરંતુ પૃથ્વીના ભરતી-ઓટની ગતિશીલતામાં પણ ફેરફાર થશે.
જો કે, આ સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે, જેમ-જેમ મહાદ્વીપનું વિસ્થાપન થશે... તેમ-તેમ આ ભરતી-ઓટની ઊર્જા ઘટવા લાગશે. આનાથી આખરે ઓછી ભરતી-ઓટ ઉર્જાનો સમય આવશે. આ પેંજિયા અને રોડિનીયાની રચના દરમિયાનની પરિસ્થિતિઓ જેવું જ હશે.
ભરતી-ઓટની ઉર્જા પૃથ્વીના મહાસાગરોને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરિયાઈ પાણીને મિશ્રિત કરવા માટે મજબૂત ભરતી મહત્વપૂર્ણ છે, જે ઊંડાણથી સપાટી પર પોષક તત્વોનું વિતરણ કરવામાં મદદ કરે છે. દરિયાઈ જીવસૃષ્ટિને ટેકો આપવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. સમુદ્રમાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા બધાને ભરતી-ઓટની ઊર્જાની જરૂર પડે છે.
ભરતી-ઓટના બળ નબળા પડવાથી પોષક તત્વોનું મિશ્રણ ઘટી શકે છે, જેના કારણે દરિયાઈ જીવો માટે આવશ્યક સંસાધનોની પહોંચ ઘટી શકે છે. આનાથી દરિયાઈ જીવસૃષ્ટિમાં ઘટાડો થઈ શકે છે. ડેડ ઝોન પણ બની શકે છે, જ્યાં ઓક્સિજનનું સ્તર એટલું ઓછું થઈ જાય છે કે મોટાભાગની દરિયાઈ પ્રજાતિઓ ટકી શકતી નથી.