નવી દિલ્લીઃ હાલના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. દિવસભર મોબાઈલનો ઉપયોગ સતત થતો હોવાના કારણે તેની બેટરી પણ જલદી ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફરીથી મોબાઈલને ચાર્જ કરવો પડે છે. જોકે, અહીં વાત કરીશું મોબાઈલ ચાર્જ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો અંગે. સૌથી પહેલાં મોબાઈલ ચાર્જ કરતી વખતે ક્યારેય ચાલુ ચાર્જિંગ દરમિયાન ફોન પર વાત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણકે, આ વસ્તુ તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી અચાનક બેટરી બ્લાસ્ટ થાય તો માણસનો જીવ પણ જઈ શકે છે. એટલું જ નહીં આ ઉપરાંત કેટલી એવી બાબતો પણ છે જે ભૂલો આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. જો તમે પણ આવી ભૂલો કરતા હોવ તો હવેથી ચેતી જજો નહીં તો એક નાની ભૂલના કારણે તમારું મોટું નુકસાન થઈ શકે છે.
મોબાઈલ ચાર્જ કરતી વખતે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતા ચાઈનીઝ ચાર્જરના ઉપયોગથી તમારા ફોનની બેટરી જલદી ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી તમારા ફોનને પણ નુકસાન થઈ શકે છે.
ઘણાં લોકોને એવી આદત હોય છેકે, તેઓ વારંવાર સતત ફોન ચાર્જિંગ કર્યા કરતા હોય છે. દા.ત., જો ફોનની બેટરી 90 ટકા ફૂલ ચાર્જ હોય તો પણ ઘણાં લોકો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી રાખે છે. સ્માર્ટફોનના નિષ્ણાતોનું માનવું છેકે, આ રીતે વારંવાર ફોનને ચાર્જ કરવાથી ફોનની બેટરી પર દબાવ પડે છે.
ધ્યાન રાખો કે, ફોનને વારંવાર ચાર્જ કરવાનું ટાળો. ફોનની બેટરી જ્યારે 20 ટકા કે તેનાથી ઓછું ચાર્જિંગ બતાવે ત્યારે જ ફોન ચાર્જ કરવા મુકો. આવી કરવાથી તમારા ફોનની બેટરી વધારે લાંબા સમય સુધી ચાલશે અને તે ખરાબ પણ નહીં થાય.
મોબાઈલ કવર સાથે જ રાખીને ફોન ચાર્જ કરવાથી બેટરી પર દબાણ વધે છે. તેથી હંમેશા કવર કાઢીને જ મોબાઈલ ચાર્જ કરવો જોઈએ.
ઘણીવાર લોકો જલદી ચાર્જિંગના ચક્કરમાં ફાસ્ટ ચાર્જિંગ App ડાઉનલોડ કરી લે છે. વાસ્તવમાં આવી એપ સતત તમારા ફોનના બેકગ્રાઉંડમાં ચાલુ જ રહે છે જેનાથી બેટરી વધારે વપરાય છે. અને આવી એપ મોબાઈલ માટે નુકસાન કરાક છે.